સુરત દુષ્કર્મ કેસઃ પોલીસ દ્વારા આરોપીઓને શોધી આપનારને ર૦ હજારનું ઇનામ આપવાની જાહેરાતઃ સોશ્યલ મીડીયામાં ખોટા મેસેજ વાયરલ કરનાર સામે ગુન્હો
સુરતઃ સુરતમાં દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ પોલીસે આ પ્રકરણમાં સોશ્યલ મીડીયામાં મેસેજ વાયરલ કરનાર ૩ સામે ગુન્હો નોંધીને આરોપીઓની ઓળખ આપનારની જાહેરાત કરી છે.
આ ત્રણ લોકોએ એબીવીપીના નેતાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સોશિયલ મીડિયા પર વહેતી કરવામાં આવેલી પોસ્ટમાં હરિશ ઠાકુરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી બાળકીની ઓળખ આઠ દિવસ બદ હજુ સુધી થઇ નથી. આ કેસમાં આોરોપી કે બાળકીનાં પરિવાર સુધી હજુ સુધી પોલીસ પહોંચી શકી નથી. તેથી જ હાલમાં સુરત દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલાં કમિશ્નર સતિશ શર્માએ કેસને ઉકેલવા માટે બાળકીનાં 1200 પોસ્ટર્સ આખા શહેરમાં લગાવવામાં આવ્યાં છે. જેથી બાળકી શહેરની છે કે પછી બહારની છે તે માલૂમ પડે.
આપને જણાવી દઇએ કે સુરત પોલીસે બાળકીની ઓળખ કરનારને 20,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમજ માહિતી આપવા માટે 9081991100 નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે આ બાળકી રાજ્યની નથી. 8-8 દિવસ સુધી નરાધમોએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને અવાવરી જગ્યાએ ગળું દાબીને મારી નાંખી હતી. આ ઘટનાનો ભોગ બનેલી બાળકીનાં શરીર પર ઇજાનાં 86 નિશાન મળી આવ્યા હતાં.
નોંધનીય છે કે છ એપ્રિલનાં રોજ પાંડેસરાનાં જીઆવ-બુડિયા રોડ પરની અવાવરી જગ્યાએથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આ આખી ઘટના બાદ ન ફક્ત સુરતની પણ દેશની જનતામાં રોષ ભભુકી ઉઠ્યો છે.