રાજપીપળા ખાટકીવાડ વિસ્તારમાં દબાણ અને ગંદકીની ફરિયાદ બાદ પણ તંત્રએ પગલાં ન લેતા નારાજગી
પાલિકામાં ફરિયાદ બાદ કોઈજ કાર્યવાહી ન કરતા સ્થાનિક મહિલાએ કલેક્ટરને ફરિયાદ કરી,કલેકટરે આ બાબતે કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવા છતાં જૈસેથે સ્થિતિ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકામાં સ્ટાફની અછત અને કેટલીક બાબતોમાં સ્નેહ શરમ કે કોઈ અંગત ફાયદાના કારણે ઘણી સમસ્યા દૂર થતી ન હોવાની બુમો સંભળાઈ છે ત્યારે હાલમાં પણ ઘણા દિવસો થી એક મહિલાની ફરિયાદ પર પૂરતું ધ્યાન ન અપાયું હોવાની વાત બાદ તંત્ર સામે નારાજગી જોવા મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા ખાટકીવાડ વિસ્તારમાં ચિકન કટિંગની ઘણી દુકાનો છે જે પૈકી અમુક વેપારીઓ નિયમ મુજબ વેપાર કરે છે પરંતુ સ્થાનિક મહિલાએ તેના પાડોશી વેપારી વિરુદ્ધ ગત તારીખ 2 ફેબ્રુઆરી એ ગંદકી અને દબાણ બાબતેની નગરપાલિકાના મુખ્ય અધિકારી ને લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ કોઈજ કાર્યવાહી ન થતા આખરે કલેકટરને લેખિત ફરિયાદ કર્યા બાદ કલેકટરે પાલિકાના મુખ્ય અધિકારીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવા છતાં હજુ સુધી દુકાનદાર પોતાની મનમાની કરી ગંદકી અને માર્ગ ઉપર દબાણ કરતા હોવાથી તંત્રની ઢીલી કે લાગવગ વાળી કામગીરીથી અરજદાર મહિલામાં નારાજગી જોવા મળી હોય આખરે આ મહિલાએ મીડિયાનો સહારો લીધો છે.
જોકે આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાએ ટેલિફોનિક વાત માં જણાવ્યું કે મે મારા માણસો ને મોકલી દબાણ હટાવવા દુકાનદારને સુચના અપાવી છે.છતાં હજુ દબાણ કે ગંદકી હશે તો તેના વિરુદ્ધ પગલાં લેવાશે.