વિજયભાઈ રૂપાણીને રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ અપાયો :ઑક્સીજન સ્ટેબલ : તબિયત સારી
10 નિષ્ણાંત ડોક્ટર્સની ટીમની દેખરેખ હેઠળ સારવાર : સિવિલમાં દાખલ હોવાથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે હોસ્પિટલમાં સારવારનો ચોથો દિવસ છે અને 10 નિષ્ણાંત ડોક્ટર્સની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે
વહેલી સવારે તેમના ઓક્સિનજન લેવલની તપાસ કરવા કરવામાં આવી હતી જેમાં ઑક્સીજન સ્ટેબલ આવ્યું છે.જોકે મુખ્યમંત્રીને કોરોના વાયરસનું ઈન્ફેક્શન વધે નહીં તે માટે રેમડેસિવિર ઇન્જેકશનનો ડોઝ આપવામાં આવ્યો છે. સીએમ રૂપાણીના સિવિલમાં દાખલ હોવાથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સિવિલ જાણે સચિવાલયમાં ફેરવાઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે
ચૂંટણી દરમિયાન જ સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા CM રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.