ગુજરાત
News of Friday, 17th January 2020

ગુજરાત વાઇ, આંચકી અને ખેંચના છ લાખ દર્દીઓ છે

અમદાવાદમાં વાઇ, આંચકી અને ખેંચ માટે કોન્ફરન્સ : ઇકોન-૨૦૨૦ માં દેશ-વિદેશના ન્યુરોલોજીસ્ટ્સ ઉપરાંત નિષ્ણાત ફેકલ્ટી અને ૫૦૦થી વધુ પ્રતિનિધિઓ ઉમટયા

અમદાવાદ,તા. ૧૭ : ગુજરાત રાજયમાં વાઇ, આંચકી અને ખેંચના છ લાખથી પણ વધુ દર્દીઓ હોવાનો અંદાજ છે, જયારે સમગ્ર દેશમાં જોઇએ તો, આ આંકડો ૧૦ મિલિયનથી પણ વધુનો થવા જાય છે. જે સમગ્ર વિશ્વના વાઇ, આંચકી અને ખેંચના દર્દીઓની સરખામણીએ છઠ્ઠા ભાગના દર્દીઓ છે. જો કે, વાઇ, આંચકી અને ખેંચની બિમારીના ત્રણ ચતુર્થાંશ દર્દીઓના કિસ્સામાં યોગ્ય સારવારથી તેનો સંપૂર્ણ ઇલાજ શકય છે. લગભગ ૭૫ ટકા કિસ્સામાં આ બિમારીમાંથી છૂટકારો મેળવી શકાય છે, માત્ર ૨૫ ટકા કિસ્સામાં જ દર્દીઓને સર્જરી સહિતની અન્ય એડવાન્સ્ડ ટેકનોલોજીનો સહારો લેવો પડતો હોય છે એમ આજથી અમદાવાદ શહેરમાં વાઇ, ખેંચ અને આંચકીની બિમારી અંગે શરૂ થયેલી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ઇકોન ૨૦૨૦ના ઓર્ગેનાઇઝીંગ ચેરમેન પ્રો.ડો.સુધીર શાહ અને સેક્રેટરી ડો.શાલીન શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાઇ, આંચકી અને ખેંચની બિમારીને લઇ તા.૧૭થી ૧૯ જાન્યુઆરી સુધી શહેરમાં યોજાઇ રહેલી આ ત્રિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ૫૦૦થી વધુ દેશ-વિદેશના ડેલીગેટ્સ અને પ્રતિનિધિઓ ભાગ લેવા આવી રહ્યા છે.

          જેમાં ૭૦થી વધુ નેશનલ ફેકલ્ટી અને દસ જેટલા આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીનો સમાવેશ થાય છે. ઇન્ડિયન એપીલેપ્સી એસોસીએશન અને ઇન્ડિયન એપીલેપ્સી સોસાયટી દ્વારા ઇકોન નામની આ રાષ્ટ્રીય કોન્ફરન્સનું અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. વાઇ, આંચકી અને ખેંચની બિમારીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલી એડવાન્સ્ડ ટેકનોલોજી ટીએનએસ, વીએનએસ, ડીબીએસ, આરટીએફસી જીન થેરાપી, લેઝર અને આરએનએસના કારણે સારા એવા પરિણામ મળી રહ્યા છે અને આ બિમારીમાંથી દર્દીઓને છૂટકારો મેળવવામાં ઘણી સફળતા પણ મળી રહી છે. મગજનું વાયરલ ઇન્ફેકશન અને રોડ ટ્રાફિક અકસ્માતના કિસ્સાઓમાં વાઇ, આંચકી કે ખેંચની બિમારીને સારી રીતે અટકાવી શકાય છે. ત્રણ ચર્તુથાંશ દર્દીઓને માત્ર ઉપચારથી જ આ બિમારી નિયંત્રણમાં લાવી શકાય છે, જેમાં ત્રણ વર્ષમાં તો, ૫૦ ટકા દર્દીઓ સંપૂર્ણપણે રોગમુકત બની શકે છે. ઇકોન ૨૦૨૦ના ઓર્ગેનાઇઝીંગ ચેરમેન પ્રો.ડો.સુધીર શાહ અને સેક્રેટરી ડો.શાલીન શાહે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વાઇ, આંચકી અને ખેંચના દર્દીઓની સારસંભાળ માટે જૂજ કેન્દ્રો છે, જે સરકાર અને તબીબી નિષ્ણાતોના સહયોગથી વધારવાની જરૂર છે. તેની સરખામણીએ ત્રિવેન્દ્રમ, મુંબઇ, બેંગ્લોર અને હૈદ્રાબાદ જેવા શહેરોમાં ઘણા એડવાન્સ્ડ સેન્ટર્સ છે.

             ઇકોન-૨૦૨૦માં દેશ-વિદેશથી આવેલા ન્યુરોફીઝીશીયન્સ સહિતના નિષ્ણાત તજજ્ઞોના ઉપયોગી માર્ગદર્શનની સાથે સાથે દર્દીઓને દવા અને સારવારની નવી પધ્ધતિઓ, સંશોધનો સહિતની બાબતોમાં લાભકારી જાણકારી મળશે. આ કોન્ફરન્સના છત્ર હેઠળ અમદાવાદ મેડિકલ એસોસીએશન અને એકેડમી ઓફ ન્યુરોલોજીસ્ટીસ ઓફ ઇન્ડિયા દ્વારા વાઇ, આંચકી અને ખેંચના દર્દીઓ માટે તા.૧૯મી જાન્યુઆરીના રોજ એપીલેપ્સી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન અમદાવાદ મેડિકલ એસોસીએશન ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ન્યુરોલોજીસ્ટસ દ્વારા આ ડિસઓર્ડર અંગે અજ્ઞાન, ભ્રામક માન્યતાઓ અને સામાજિક લાંછન જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. ઇકોન ૨૦૨૦ દરમ્યાન કવીઝ, મનોરંજનના મ્યુઝીકલ પ્રોગ્રાક અને ન્યુરેગામાનું આયોજન પણ કરવામાં આવ્યું છે એમ ડો.સુધીર શાહ અને ડો.શાલીન શાહે ઉમેર્યું હતું.

(9:23 pm IST)