ગુજરાત
News of Wednesday, 17th January 2018

આણંદ નજીક વઘાસીમાં બંધ મકાનમાંથી તસ્કરોએ 1.29 લાખની મતાનો હાથફેરો કર્યો

આણંદ:નજીક આવેલા વઘાસીના પાતોળપુરા પાસેની એક સોસાયટીના બંધ મકાનમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરો બારણાના નકુચા તોડીને અંદર ઘુસી ૧.૨૯ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ઘરી છે.

 

ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી અનિતાબેન અનિરૂધ્ધસિંહ ભદોરીયા પાતોળપુરા પાસે આવેલી દેવપુષ્પમ સોસાયટીમાં રહે છે. ઉત્તરાયણનો પર્વ હોય ગત ૧૨મી તારીખના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે તેઓ મકાનને તાળા મારીને પરિવાર સાથે ઉત્તરાયણ મનાવવા માટે પિયર કલોલ ગયા હતા. દરમ્યાન કોઈ તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનની પાછળ આવેલ જાળીનો નકુચો તોડીને લાકડાના દરવાજાના નકુચા પણ તોડી નાંખ્યા હતા. ત્યારબાદ અંદર ઘુસેલા તસ્કરોએ બેડરૂમમાં મુકેલી તીજોરી તોડી નાંખીને અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા ૨૫ હજાર મળીને કુલ ૧.૨૯ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આજે તેઓ પરત ફરતા મકાનના દરવાજાના નકુચા તુટેલા હતા અને તિજોરીનો બધો સામાન પણ વેરવિખેર પડેલો હતો જેથી તપાસ કરતાં ઉક્ત રકમની ચોરી થયાનું લાગતાં જ તેઓએ તુરંત જ આણંદ રૂરલ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદથી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ઘરી છે.

(6:45 pm IST)