ગુજરાત
News of Thursday, 16th December 2021

રાજપીપળા મુસ્લિમ સમાજના કબ્રસ્તાન પાસે ખદબદતી ગંદકી બાબતે કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકો નારાજ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં એકમાત્ર મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું હોય ત્યાં આસપાસ વારંવાર ગંદકી માટેની બૂમ સંભળાઈ છે અને હાલમાં પણ આ જગ્યા પર અતિશય ગંદકી હોય પાલિકામાં રજુઆત કરવા છતાં કોઇ કામગીરી થતી ન હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે આ ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાઇ તો જવાબદાર કોણ તેવા સ્થાનિકો સવાલ કરી રહ્યાં છે.

જોકે આ બાબતે પાલિકાના મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ત્યાંની ગંદકી જેસીબી દ્વારા જ દૂર થાય તેમ છે પરંતુ હાલમાં જેસીબી નો ચાલક બીમાર હોવાથી કામ અટક્યું છે હાજર થતા ત્યાંની સફાઈ થઈ જશે.
જોકે કેટલાક સ્થાનિકો અને સભ્યોના મતે ત્યાં અવાર નવાર જેસીબી થી સફાઈ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકો દ્વારા જ કચરાની ગાડીમાં કચરો નહિ નાંખી ત્યાં ખુલ્લી જગ્યામાં કચરો નંખાતા અવાર નવાર આવી સ્થિતિ સર્જાઈ છે માટે અમુક ત્યાં કચરો નાંખતા સ્થાનિકો એ પણ આ માટે કાળજો લેવી જરૂરી છે.

(12:01 am IST)