આધેડની તેના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી
ઓલપાડ તાલુકાના કુદસદ ગામનો બનાવ :આરોપીએ એટલી ક્રૂર રીતે મૃતક વાલજી સોલંકીને તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા કે તેમની લાશ વિકૃત થઈ ગઈ હતી
સુરત,તા.૧૫ : સુરતના કીમના પૂર્વ વિસ્તારમાં કુદસદ ગામની હદમાં આવેલ મુન્ના એજન્સીમાં વહેલી સવારે આધેડની તેના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યારાએ એક નહિ તીક્ષ્ણ હથિયારના અનેક ઘા મારી આધેડને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ સુરત ગ્રામ્ય પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ. કર્યો હતો. ઓલપાડ તાલુકાના કુદસદ ગામના મુન્ના એજન્સી નામે વિસ્તાર આવેલો છે. મુન્ના એજન્સી વિસ્તારમાં ૧૪૨ નંબરના મકાનમાં ગઈકાલે લોહીના ધબ્બા, તીક્ષ્ણ હથિયાર જોવા મળ્યા હતા. મુન્ના એજન્સીમાં ૧૪૨ નંબરના મકાનમાં રહેતા વાલજી સોલંકી નામના આધેડ કોન્ટ્રાકટરની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. લાશ નજીકથી કોન્ડમના પેકેટ પણ મળી આવ્યા છે. આરોપીએ એટલી ક્રૂર રીતે મૃતક વાલજી સોલંકીને તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા કે, તેમની લાશ વિકૃત થઈ ગઈ હતી.
હત્યા બાદ પોલીસ દોડતી થઈ હતી. હત્યા બાદ સ્થાનિક કીમ પોલીસ, જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આધેડની જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી હતી એ જોતાં કોઈ આડા સબંધ કે પછી જૂની કોઈ અદાવતમાં હત્યા કરવામાં આવી હોય. હત્યાનું સાચું કારણ જાણવા પોલીસ કામે લાગી છે અને આરોપીના કોલર સુધી પહોંચવા આકાશ પાતાળ એક કરી રહી છે. કિમ પૂર્વ વિસ્તારમાં આધેડની હત્યા બાદ પોલીસે એફ.એ.સેલ અને ડોગ સ્કોર્ડની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ. કર્યો છે. ત્યારે કિમ પોલીસ આરોપી સુધી ક્યારે પહોંચે છે એ તો સમય બતાવશે.