ઊંઝા ખાતે લક્ષચંડી કાર્યક્રમમાં અમિતભાઇ શાહે ના આવે તો વધુ સારું: આઇબીની સલાહ
પાટીદારોના એક મોટા સમૂહનો વિરોધ અને પુરુષો કાળા કપડાં અને મહિલાઓ સફેદ રંગની સાડી પહેરી વિરોધ પ્રદર્શન કરે તેવી શકયતા
અમદાવાદઃ ઊંઝા ખાતે પાટીદારોના લક્ષચંડી કાર્યક્રમમાં ધાર્મિક માહોલમાં રાજકારણ આવતા પાટીદારોનો એક સમૂહ નારાજ થયો છે. ધર્મમાં ધર્મ સુધી રાખવા અને અમિતભાઈ શાહ કે જેમના ઓર્ડરથી પાટીદારો પર પોલીસના દમન કરાયા હતા તે કાર્યક્રમમાં ન જોઈએ તેવી રજૂઆતો વડીલો સમક્ષ પાટીદાર સમૂહ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારથી આ કાર્યક્રમમાં અમિત શાહ આવવાના છે તે અંગેની વાત જ્યારે પાટીદારોના કાને પડી ત્યારે એક ચોક્કસ પણ મોટા સમૂહની નારાજગીએ પાટીદારોને અંદર અંદર ખટરાગ કરાવી મુક્યો હતો.
સ્વાભાવીક રીતે ગૃહમંત્રી કોઈ કાર્યક્રમમાં આવવાના હોવાથી તે કાર્યક્રમ અને તેની સાથે ચાલી રહેલી ગતિવિધિઓ પર ઈન્ટેલીજન્ટ્સ બ્યૂરોની નજર રહી હતી. પોલીસના કાને જ્યારે આ વિરોધની વાત આવી ત્યારે તેમણે પોતાની રીતે પણ તેની ખરાઈ કરી અને તે અંગે વધુ માહિતી એકત્ર કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આઈબીને આ અંગે જાણકારી મળી હતી કે આ કાર્યક્રમમાં જો અમિતભાઈ શાહ આવે તો કાર્યક્રમમાં પાટીદારો મોટી સંખ્યામાં પુરુષો કાળા રંગના કપડા અને મહિલાઓ સફેદ રંગની સાળી પહેરીને હાજર રહીને વિરોધ પ્રદર્શન કરશે. જેને પગલે મામલો ડહોળાય તેવી સ્થિતિ છે. તેથી અમતિ ભાઈ શાહે આ કાર્યક્રમમાં ન આવવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ બાદ સંભવતઃ અમિતભાઈ શાહ આ કાર્યક્રમમાં જોડાશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પાટીદાર આગેવાનોની બેઠકમાં, જ્યાં ભાજપના નેતા સી કે પટેલ પણ હાજર હતા ત્યાં કેટલાંક પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા. જયાં તેમણે લેખિત આવેદન આપી રજૂઆત કરી હતી કે પાટીદાર આંદોલન વખતે પટેલોને ઘરમાંથી બહાર કાઢી ફટકારનાર અમિતભાઈ શાહને કઈ રીતે પાટીદારો આમંત્રણ આપી શકે, 14 પાટીદાર યુવાનો શહિદ થયા તેમના પરિવરાને કોઈ મદદ મળી નથી. જ્યારે ગોધરાકાંડના કેસમાં પાટીદાર યુવાનો હજી જેલમાં સબડી રહ્યા છે. આ તમામ માટે અમિતભાઈ શાહ જવાબદાર હોવા છતાં શા માટે તેમને આમંત્રણ આપવામાં આવે છે. જો આયોજકો અમિતભાઈ શાહને આપવામાં આવેલું આમંત્રણ રદ કરશે નહીં તો પાટીદાર યુવાનો ઉપવાસ ઉપર બેસશે અને જરૂર પડે આત્મવિલોપન પણ કરશે. (મેરા ન્યુઝ સાઈટમાંથી સાભાર)