ગુજરાત
News of Monday, 16th December 2019

ઉમરેઠમાં રોડ ક્રોસ કરતા મજુર યુવાનનું એસટીની અડફેટે મોત

નડિયાદ: ઉમરેઠ ખાતે ગઈકાલે રાત્રીના સુમારે રોડ ક્રોસ કરી રહેલા એક મજુર યુવાનને એસટી બસે અડફેટે લેતાં તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે પોલીસે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ઉમરેઠ શહેરની અંબિકાનગર સોસાયટી પાછળ નવી સોસાયટી બની રહી છે. જેમાં કડિયાકામની મજુરી માટે દાહોદ અને ગોધરા જિલ્લાના કેટલાક આદિવાસીઓ આવ્યા છે અને તેઓ જે દુકાનો પાડી છે તેમાં જ રહે છે. ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે બળવંતભાઈ મથુરભાઈ વણઝારા રોડ ક્રોસ કરીને સોસાયટી તરફ આવતો હતો ત્યારે ઉમરેઠ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી એસટી બસ નંબર જીજે-૧૮, વાય-૮૧૭૮એ ટક્કર મારીને થોડે દુર સુધી રોડ પર ઢસડ્યો હતો જેના કારણે તેને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેને તુરંત જ સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટુંકી સારવાર બાદ તેનું અવસાન થયું હતુ. આ અંગે શંકરભાઈ વાલસીંગભાઈ કટારાએ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(6:27 pm IST)