ગુજરાત
News of Sunday, 16th December 2018

ખેડૂતોને રવિ સિંચાઈ માટે જરૂરિયાત જ મુજબ પાણી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખાતરી : કેવડિયાથી ભરુચના દરિયા સુધીના વિસ્તારમાં પાણીનો પ્રવાહ યથાવત રહે, લોકોને પાણી મળે તેની ખાતરી કરાશે

અમદાવાદ,તા.૧૬ : નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં કેવડિયાથી ભરૂચના દરિયા સુધીના વિસ્તારમાં પાણીનો પ્રવાહ યથાવત રહે, નર્મદા કાંઠે વસતા લોકોને બારે મહિના નર્મદાના મીઠા નીર ઉપલબ્ધ થાય અને દરિયો આગળ વધતો અટકે એવા તમામ પર્યાવરણીય હેતુ માટે નર્મદા બંધ અને ગરુડેશ્વર વિયરમાંથી હેઠવાસમાં પાણી છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં એટલે કે સરદાર સરોવર બંધ અને વિયરની વચ્ચે સંગ્રહ કરાતું  પાણી એ પાણીનો વેડફાટ નથી, પરંતુ પર્યાવરણીય જરુરિયાત છે. નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ ઓછો થયો હોવા છતાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં સમયસર નિર્ણયો લીધા છે અને ૨૮મી ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતોને રવી સિંચાઈ માટે પાકોની જરુરિયાત મુજબ ચાર પાણ અપાશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્દેશ મુજબ બંધની હેઠવાસમાં પર્યાવરણીય જરુરિયાત સંતોષવા સતત ૬૦૦ ક્યુસેક પાણી છોડવાનું હોય છે. જે અત્યાર સુધી પોન્ડ નં. ૩ માંથી ગોડબોલે ગેટ દ્વારા છોડવામાં આવતું હતું. જે હવે ગરુડેશ્વર વિયરમાં પણ ગેઇટ લાગી જતાં તેના મારફતે હેઠવાસમાં છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે, જે પાણીનો બગાડ નથી. નિર્ધારીત થયેલ ૬૦૦ ક્યુસેક પાણી હેઠવાસમાં સતત છોડાઇ રહેલ છે. રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, સામાન્ય વર્ષે ગુજરાતને ફાળે આવતાં ૯ મિલિયન એકર ફીટ પાણીના જથ્થાની સામે ચાલુ સાલે નર્મદાના સ્રાવ વિસ્તારમાં વરસાદ ઓછો થતાં ગુજરાતને ફાળે ૬.૮૩ મિલિયન એકર ફીટ પાણી આવવા સંભવ છે. આમ, લગભગ ૨૫% ઓછું પાણી મળેલ હોવા છતાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં સમયસર યોગ્ય નિર્ણયો લઈ ખરીફ ઋતુમાં ટેકાની સિંચાઇ માટે આશરે ૧.૭૫ મિલિયન એકર ફીટ પાણી આપેલ છે. તેમજ ચાલુ રવી ઋતુમાં પણ સરકારે સમયસર જાહેરાત કરી તે મુજબ તા. ૧૨ નવેમ્બરથી દરરોજ ૧૮ થી ૨૦ હજાર ક્યુસેક પાણી આપવામાં આવે છે જે અત્યાર સુધીમાં ૧.૧૫ મિલિયન એકર ફીટ જેટલો જથ્થો થાય છે. અગાઉથી જાહેરાત કર્યા મુજબ તા. ૨૮ ફેબ્રુઆરી સુધી રવી સિંચાઇ માટે પાકોની જરૂરિયાત મુજબ કુલ લગભગ ચાર પાણ આપવામાં આવશે. નહેર માળખાનાં કામો હજુ બાકી હોવા અંગે જણાવતાં  નીતિન પટેલે કહ્યું હતું કે, નહેર માળખાની કુલ અંદાજીત ૭૧,૦૦૦ કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ જોતાં લગભગ ૬૮,૦૦૦ કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં ૬૦,૧૬૯ કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ થયેલ છે એટલે કે ૮૮% કામોપૂર્ણ થયા છે. છેલ્લાં ચાર વર્ષોમાં આશરે ૩૪,૦૦૦  કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમત્તા વાળી સબ માઈનોર નહેરોનાં છે એટલે એ દિશામાં પણ સંતોષકારક કામગીરી થઈ રહી છે.

 

(9:33 pm IST)