ભાજપના ધારાસભ્યે ભાંગરો વાટ્યો :કહ્યું 'પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેન સીએમનું પદ છોડી ઘરે બેઠા'
પાટીદાર અનામત આંદોલનના સામે આદિવાસી અનામત સુરક્ષિત છે. અને રહેશે:નરેશ પટેલ
નવસારી જીલ્લાના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલએ ભાંગરો વાટ્યો છે નરેશ પટેલે પૂર્વ સીએમ આનંદીબેનના પદ છોડવા અને પાટીદાર અનામતને લઈ એવું ખુલ્લુ નિવેદન આપ્યું કે જે મુદ્દે ભાજપે પણ આજ દીન સુધી મગનું નામ મરી પાડ્યું નથી
મળતી માહિતી મુજબ ચીખલીના સુરખાઈ ગામે આદિવાસી લોકનાયક બિરસા મુંડાની જન્મ જયંતીનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે આદીવાસીઓને ખુશ કરવા માટે નરેશ પટેલે ભાન ભુલી એવું સંબોધન કર્યું કે, અગામી સમયમાં કદાચ તેઓ ભાજપના મોવડી મંડળના રોષનો ભોગ બની શકે છે.
ધારાસભ્ય નરેશ પટેલે આદિવાસીઓને રિઝવવા પોતાના સંબોધનમાં કહ્યું કે, આદિવાસીઓની અનામત હંમેશા સુરક્ષિત જ રહેશે. પાટીદાર અનામત આંદોલનના સામે આદિવાસી અનામત સુરક્ષિત છે. અને રહેશે. પાટીદાર અનામત આંદોલનને લઈ હાર્દિક પટેલનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયો છે.
ધારાસભ્ય નરેશ પટેલ ભાન ભુલીને બોલ્યા કે, હાર્દિક પટેલના પાટીદાર અનામતના કારણે અમારા આનંદીબેન પટેલને સીએમનું પદ છોડી ઘરે બેસવું પડ્યું. તેઓ આટલે જ અટક્યા નહી, અને કહ્યું કે, ભાજપ સરકાર ક્યારે પણ બંધારણ સાથે કોઈ ચેડા નહી કરવા દે, ભાજપ સરકારે પટેલ સમાજને સ્પષ્ટ કહી દીધુ છે કે, બંધારણમાં કોઈ ફેરફાર નહી થાય અને અનામત મળી શકે તેમ નથી.