ડિસેમ્બર સુધીમાં રાજ્યના 90 થી 95% નાગરિકોને કોરોના રસીકરણના બંને ડોઝ આપી દેવા રાજ્ય સરકારનું આયોજન
75 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ રેડિયોથેરાપીના અધતન મશીનોનું લોકાર્પણ કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી “GCRI-ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ” ના અધત્તન રેડિયોથેરાપી મશીનોનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકાર્પણ કર્યું હતુ. આ તમામ મશીનો દર્દીઓની સારવારમાં સેવાર્થે કાર્યરત કરાવતા આરોગ્યમંત્રીએ અધત્તન મશીનો થકી દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર ક્ષેત્રે ઉદાહરણીય કામગીરી કરી રહી હોવાનું જણાવી આ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના દર્દીઓ પણ સારવાર મેળવી રહ્યા છે. રેડિયોથેરાપી ઓન્કોલોજી સારવાર ક્ષેત્રે અંદાજીત 75 કરોડના ખર્ચે અધત્તન ટેકનોલોજીયુક્ત મશીન વિકસાવનારી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલ સમગ્ર દેશમાં પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે.
આરોગ્ય મંત્રીએ ડિસેમ્બર સુધીમાં રાજ્યના 90 થી 95% નાગરિકોને કોરોના રસીકરણના બંને ડોઝ આપી સુરક્ષા કવચ પ્રાપ્ત કરાવવા સરકાર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્યના પી.એચ.સી, સી.એચ.સી, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સરકારી તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા, તેમના તમામ પ્રશ્નો સમસ્યાઓના રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે તમામ હોસ્પિટલોમાં ટૂંક સમયમાં “કંમાડ એન્ડ કંટ્રોલ” સેન્ટર કાર્યરત કરવામાં આવનાર હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. મેડિકલ ક્ષેત્રનું પીપીપી મોડેલ સેવા અને સારવારનું ઉત્તમ મોડલ રાજ્યભરમાં સાબિત થયું છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારે જી.સી.આર.આઇ.માં ઉપલબ્ધ થયેલ અત્યાધુનિક ઉપકરણો કેન્સર ગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક પરિણામ આપશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર આર.કે.દિક્ષીત, જી.સી.આર.આઇ.ના ચેરમેન પંકજ પટેલ, જી.સી.આર.આઇના જનરલ સેક્રેટરી પ્રશાંત કિનારીવાલા, ડાયરેક્ટર શશાંક પંડ્યા, જી.સી.એસ.ના સી.ઇ.ઓ સતિષ રાવ, મેડિસીટીની વિવિધ હોસ્પિટલ અને સંષ્થાના વડા , હેલ્થકેર વર્કસ ઉપસ્થિત રહ્યા હતા