વિકાસની રાજનીતિએ ભાજપનો એજન્ડા :કોંગ્રેસમાં ન નેતા ન નીતિ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
મુંબઇ ખાતે મુખ્યમંત્રીનો ઝંઝાવાતી ચુંટણી પ્રચાર : વિકાસની રાજનીતિને સહકાર આપવા રૂપાણીની લોકોને અપીલ
મુંબઈ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ન નેતા ન નીતિ છે.કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ કરીને,દેશને બરબાદ કર્યો છે. નહેરૂથી માંડીની મનમોહન સુધીના નેતાઓએ કેવળ વાયદાઓ જ કર્યા છે, જયારે ભાજપ સરકારનો વિકાસની રાજનીતિનો એજન્ટા રહયો છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસની સરકારે જનસમાજને મધ્યમ રાખીને વિકાસની હારમાળી સર્જી છે.
મુંબઇ વર્સોવા ખાતે ભાજપ-શીવસેના યુતિના વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં વિકાસને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અને એનડીએની સરકારે દેશની અખંડિતતા-એકતા માટે મહત્વપુર્ણ કદમો ઉઠાવ્યા છે. ૩૭૦ની કલમ નાબુદ કરીને કાશ્મીર સમસ્યાના ઉકેલ સાથે કાશ્મીરને વિકાસની હરોળમાં લાવવા ઐતિહાસિક નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ ભાજપ-શીવસેનાની યુતિના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે પરિવારવાદ-ભષ્ટ્રલોકોને નેસ્તનાબુદ કરવાની આ ચુંટણી છે. જનતા બધુ જ જાણે છે, દેશનું હિત કયાં સમાયેલું છે. મહારાષ્ટ્રમાં પ્રજાનું કલ્યાણ એજ પરમ ધર્મ રહયો હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસે પ્રજાને ગેરમાર્ગે દોરી છે. કોંગ્રેસ ડુબતી નૈયા છે. તેને બચાવવા મથી રહી છે, એ પ્રજાનું કલ્યાણ કેવી રીતે કરશે. આંતકીઓની ભાષા કોંગ્રેસ બોલે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે મહાસત્તા બનવા જઇ રહયો છે. વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.
પુર્વ મંત્રી ગોરધનભાઇ ઝડફીયાએ છત્રપતિ શિવાજીની ભુમિ પર સંપ્રદાયથી પર ઉઠીને દેશની એકતા અને અખંડિતતા માટે ભાજપ-શીવસેના યુતિના ઉમેદવારને જીતાડવા હાંકલ કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઓશીવારા-જોગેશ્વરી ખાતે ગુજરાતી સમાજના શ્રેષ્ઠીઓ સાથે સ્નેહ મિલન કરીને, વિકાસયાત્રામાં ભાગીદાર બનવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીનું કચ્છમાં પાંજરાપોળમાં વિશેષ સુવિધા માટે વાગડ સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાજના પ્રમુખ હેમરાજભાઇ શાહ, પુર્વમંત્રી તારાચંદભાઇ છેડા, પુર્વ સાંસદ પુષ્પદાનભાઇ, સહિત અગ્રણીઓ જોડાયા હતા.