સુરતના અમરોલીમાં તસ્કરોએ શિવજીના મંદિરમાં કર્યો હાથફેરો
સુરતઃ અમરોલી પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં પણ તસ્કરોએ જૂના કોસાડ રોડ પર સર્વેશ્વર મહાદેવજીના મંદિરમાં દાનપેટી તોડીને રોકડની ચોરી કરી હતી. એટલું જ નહીં ચોરોએ મંદિરની બાજુમાં સરદાર પટેલ સ્કૂલમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો છે. વધુમાં આ બાબતે મંદિરના પૂજારી મનીષગિરી જયંતગિરી ગોસાઈએ ફરિયાદ નોંધાવી હતી.
મંદિરના પૂજારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમરોલી શિવનગર સોસાયટીમાં સરવેશ્વર મહાદેવજીના મંદિરમાં 13મી તારીખે મળસ્કે ત્રણ ચોરો મંદિરમાં પ્રવેશ કરીને ગર્ભગૃહમાં મુકેલી દાનપેટી તોડીને તેમાંથી રોકડની ચોરી કરી હતી. સવારે પડોશીઓએ મંદિરના તાળા તુટેલા જોઈને પુજારીને જાણ કરી હતી. તસ્કરોએ મંદિરની બાજુમાં સરદાર પટેલ વિદ્યા સંકુલ હાઈસ્કૂલમાં તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. હાલમાં અમરોલી પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરાના આધારે ચોરી કરતી ત્રિપુટી ટોળકીને શોધવા કવાયત હાથ ધરી છે.