અપહરણ થયેલ પુત્રી ન મળતા સાંજની બદનામીના ડરથી સુરતના દંપતીએ સામુહિક આપઘાત કર્યો
સુરત:અપહરણ કરાયેલી ૧૭ વર્ષીય પુત્રી નહીં મળતા અને સમાજમાં બદનામી થશે એવી બીકે પુણા વિસ્તારમાં આજે બપોરે ઘરમાં કાપડ વેપારી અને તેમની પત્નીએ ગળે ફાંસો ખાઇ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણા પાટીયામાં મગોબમાં રેશ્મા રો-હાઉસમાં રહેતા ૪૫ વર્ષીય હરીલાલ માંગીલાલ પ્રજાપતિ અને તેમની પત્ની ભગવતીબેન (ઉ.વ. ૪૦) આજે બપોરે ઘરના રસોડામાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. દોરીના એક સાઇડના ભાગે હરીલાલ અને તે જ દોરીના બીજા ભાગે ભગવતીબેને બાંધી ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, હરીલાલ મૂળ રાજસ્થાનના નાગોરના વતની હતા. તેમને સંતાનમાં ૧૫ વર્ષીય પુત્ર અને ૧૭ વર્ષીય પુત્રી છે. તે રીંગરોડની શિવદર્શન માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા હતા. ગત તા. ૧૪મી જુલાઇના બપોરે તેમની પુત્રીનું કોઇએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ પૂણા પોલીસ મથકમાં નોંધાવી હતી.