ગાંધીનગર રેલવે સ્ટેશનમાં બાળકી પર ટ્રેકટર ફરી વળ્યું
બાળકી પાર્કિંગમાં સુઈ રહી હતી : મચ્છર હેરાન ન કરે તે માટે બાળકીને શાલ ઓઢાડવામાં આવી હતી, શાલમાં બાળકીને ટ્રેક્ટર ડ્રાઈવર ન જોઈ શક્યો
ગાંધીનગર, તા.૧૬ : ગુરુવારે ગાંધીગરના સેક્ટર ૧૪માં નવા બનેલા રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સૂતેલી ૬ મહિનાની બાળકી પર ટ્રેક્ટર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતં. બાળકીને પાર્કિંગમાં સૂવડાવીને તેના માતા-પિતા મજૂરી કામ કરી રહ્યા હતા તે સમયે ઘટના બની હતી. તેમ ગાંધીનગર સેક્ટર ૭ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બાળકીનું નામ પ્રિયાંશી સાંઘાડા હતું અને તે પાર્કિંગ એરિયામાં સૂતી હતી જ્યારે તેના માતા-પિતા ગ્રાઉન્ડ લેવલિંગનું કામ કરી રહ્યા હતા. આ સમયે ડ્રાઈવરે ટ્રેક્ટરને રીવર્સમાં લેતા બાળકી પર પૈડું ફરી વળ્યું હતું. બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, તેમ સેક્ટર ૭ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સચિન પવારે જણાવ્યું હતું.
પવારે જણાવ્યું હતું કે, મૃતકના પિતાએ પોલીસને કહ્યું હતું કે, માખી-મચ્છર હેરાન ન કરે અને તે શાંતિથી ઊંઘ લઈ શકે તે માટે બાળકીને શાલ ઓઢાડવામાં આવી હતી.
શાલમાં લપેટેલી બાળકીને ટ્રેક્ટર ડ્રાઈવર જોઈ શક્યો નહોતો, તેમ બાળકીના પિતાએ કહ્યું હતું. પવારે જણાવ્યું હતું કે, બાળકીના માતા-પિતા સેક્ટર ૩માં આવેલા સ્લમ વિસ્તારમાં રહે છે અને મજૂરી કામ કરીને પરિવાર ચલાવે છે. દંપતીને સંતાનમાં માત્ર એક જ દીકરી હોવાથી તેનું મોત થતાં બંને રડી રડ્યા હતા.
ઘટના બાદ ડ્રાઈવર તરત જ ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે ટ્રેક્ટર જપ્ત કરી લીધું છે અને ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ટ્રેક્ટર ડ્રાઈવર સામે બેદરકારીભર્યું ડ્રાઈવિંગના કારણે મોતનો મામલો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.