આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પગપેસારો:જુદા જુદા વિસ્તારમાંથી કુલ 8 પોંઝોટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો
આણંદ: જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. જિલ્લાના નવા-નવા વિસ્તારોમાંથી રોજે-રોજ કોરોનાના કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર પણ વિમાસણમાં મુકાયું છે. આજે જિલ્લાના ઓડ, સામરખા, ઉમરેઠ, દાઓલ, વિદ્યાનગર, આણંદ, બોરસદ તથા ખંભાત ખાતેથી ૧-૧ મળી કુલ ૮ પોઝીટીવ કેસ નોંધતા જિલ્લાભરમાં ખળભળાટી મચી જવા પામી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હવે કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ગત તા.૬ જુલાઈને સોમવારના રોજથી આણંદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. આજરોજ આણંદ જિલ્લામાંથી કોરોનાના નવા ૮ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં તાલુકા મથક ઉમરેઠના ઓડ ગામે રણછોડપુરા વિસ્તારમાં રહેતા એક ૪૦ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ઉમરેઠના ખારવા વાડી વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષીય પુરૃષ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સાથે સાથે તાલુકા મથક બોરસદના મદીના નગર ખાતે રહેતી ૭૦ વર્ષીય મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તો બીજી તરફ જિલ્લાના હોટસ્પોટ બની ચુકેલ ખંભાતના માછીપુરા ખાતે રહેતી ૩૫ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તરફ કોરોના વાયરસે પ્રયાણ કરતા નવા-નવા ગામડાઓમાંથી કોરોનાના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આજે જિલ્લાના દાઓલ ગામે વૈલેશનગર વિસ્તારમાં રહેતી એક ૬૫ વર્ષીય મહિલા કોરોનાની ઝપેટમાં આવી છે. તો આણંદ પાસેના સામરખા ગામે ખ્રિસ્તી મહોલ્લામાં રહેતા ૫૭ વર્ષીય પુરૃષનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે સાથે આણંદ પાસેના વલ્લભવિદ્યાનગરના સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક આવેલ અંશુલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ૬૫ વર્ષીય પુરૃષ અને આણંદની સ્થાપત્ય ટાઉનશીપ ખાતે રહેતા ૮૦ વર્ષીય પુરૃષ પણ કોરોનામાં સપડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.