સુરતમાં લોકો થયા સાવચેત : સુરતના રાંદેર - અડાજણના ૫ લાખના લોકો એક સપ્તાહ માટે સેલ્ફ લોકડાઉન પાળશે
જીવન જરૂરી ચીજ વસ્તુઓ દવા - અનાજ - કરિયાણાની દુકાનો સોશ્યલ ડિસ્ટન્સથી ચાલુ રહેશે
રાજકોટ, તા. ૧૬ : છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોવિડ-૧૯ના કેસમાં ભારે ઉછાળો જોવા મળે છે. લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે લોકો પણ હવે સાવચેતી માટે વધુ સતર્ક થયા છે. સુરતના રાંદેર વિસ્તારમાં રાંદેર ટાઉન અને અડાજણના લોકોએ હવે સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓને બાદ કરતાં એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉનનો આપબળે નિર્ણય કર્યો છે.
સુરતમાં કોરોનાના કેસ વધતા હિરા ઉદ્યોગ, ટેકસટાઈલ માર્કેટની ઘણી બજારો બંધ છે. કારખાના પણ બંધ રાખવામાં આવી રહ્યા છે ત્યારે લોકો હવે જાગૃત બની સેલ્ફ લોકડાઉનનો નિર્ણય કરી રહ્યા છે. સુરત રાંદેર ટાઉન - અડાજણના લોકો હવે સેલ્ફ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરી નવો રાહ ચિંધ્યો છે.
સુરતના રાંદેર - અડાજણ વિસ્તારના પાંચ લાખથી વધુ લોકોએ સેલ્ફ લોકડાઉન કર્યુ છે. માત્ર દવા અને અનાજ કરીયાણાની દુકાન ખુલ્લી રહેશે. તેમા પણ સોશ્યલ ડિસ્ટન્સ - માસ્કનો અમલ કરાવવામાં આવશે.