આણંદ નજીક ભેટાસી-કરમસદમાં તસ્કરોએ જુદા જુદા મકાનને નિશાન બનાવી લાખોની મતાની તફડંચી કરી
આણંદ:પંથકમાં ફરી એકવાર સક્રિય થયેલી તસ્કર ગેંગ દ્વારા એકબાદ એક ગામ અને શહેરને નિશાન બનાવીને એકીસાથે બે થી વધુ મકાનોના તાળા-નચુકા તોડીને ચોરી કરી ફરાર થઈ જવાની ઘટનાઓએ શહેરીજનોમાં ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે. શનિવારે આંકલાવ તાલુકાના ભેટાસીમાં અને રવિવારે રાત્રીના સુમારે કરમસદમાં ત્રાટકેલી તસ્કર ગેંગે કુલ ચાર મકાનોને નિશાન બનાવીને લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ ચોરીઓની મળતી વિગતો અનુસાર ફરિયાદી ચન્દ્રેશભાઈ રમણભાઈ હરિજન ભેટાસીવાંટાના હરિજનવાસમાં રહે છે અને રેલવેમાં નોકરી કરે છે. ગત ૧૩મી તારીખના રોજ રાત્રીના સુમારે તેઓ જમી પરવારીને પરિવાર સાથે નીચેના રૂમને તાળુ મારીને ઉપલા માળે સુવા માટે ગયા હતા. દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ તાળુ તોડીને અંદર પ્રવેશ કરી બન્ને રૂમોમાં મુકેલા કબાટ તેમજ તિજોરી તોડીને બધો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ ૧૩૫૦૦ મળીને કુલ ૪૬૫૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.