સોશ્યલ મીડિયા પર નિયંત્રણો મુકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી : શ્રી રાજયવર્ધન રાઠોડ
કર્ણાવતી યુનિ.માં યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાના સમાપન વેળાએ ઉપસ્થિત મંત્રી રાઠોડની સાફ વાત
અમદાવાદ:કેન્દ્રના માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી કર્નલ રાજ્ય વર્ધન રાઠોડે અમદાવાદમાં જણાવ્યું કે સોશ્યલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપ પર નિયંત્રણો મુકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
કર્નલ રાઠોડે કર્ણાવતી યુનિવર્સિટી, અમદાવાદમાં આયોજીત યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા 2018ના સમાપન સમારંભ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સોશ્યલ મીડિયાનો ઉદભવ જ અભિવ્યક્તિની સ્વતંત્રતાને મજબૂત કરવાના વિચારમાંથી થયેલો છે ત્યારે સોશ્યલ મીડિયા પર નિયંત્રણો લાદીને અભિવ્યક્તિની સ્વતંત્રતાને કુઠીત કરવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી.
મંત્રીએ જણાવ્યું કે સોશ્યલ મીડિયા ખૂબ જ શક્તિશાળી સાધન છે અને તેની શક્તિનો સદુપયોગની સાથે સાથે દેશમાં ભાગલા પાડવાના હેતુથી દુરુપયોગ પણ થઈ શકે છે ત્યારે દેશના યુવાનો અને નાગરિકોની ફરજ છે કે જાત નિયંત્રણથી જ સોશ્યલ મીડિયા પર મર્યાદા રહે તે જરૂરી છે.