આણંદ જિલ્લાની બોરસદ ચોકડી નજીક અગમ્ય કારણોસર શ્રમજીવી પરિવારના યુવકે બે માસુમ દીકરી સાથે સામુહિક આપઘાત કરતા અરેરાટી
આણંદ:જિલ્લાની બોરસદ ચોકડી નજીક જીટોડીયા રોડ ઉપર આવેલ વેરહાઉસની પાછળના ભાગે રહેતા એક શ્રમજીવી પરિવારના યુવકે આજે સવારના સુમારે પોતાની બે માસુમ બાળકીઓ સાથે આપઘાત કરી આ ફાની દુનિયાને અલવિદા કહી દેતા સમગ્ર આણંદ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. થોડા સમય પૂર્વે માંદગીના કારણે પત્નીનું મોત નીપજ્યું હોય તેણીના વિરહમાં પતિએ બે બાળકીઓની જીવનદોરી ટૂંકાવ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવી લીધું હોવાના બનાવે ભારે ચકચાર જગાવી છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દૂધવાળા ગામના વતની અને હાલ આણંદ શહેરના જીટોડીયા રોડ ઉપર આવેલ સેન્ટ્રલ વેરહાઉસ પાછળ મેલડીમાતાવાળા ફળીયામાં રહેતા ચિરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિ (ઉં.વ.૨૮) મજુરી કામ કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા. થોડા સમય પૂર્વે તેઓની પત્ની લલિતાબેન ઉર્ફે લતાબેનનું માંદગીના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ શ્રમજીવી પરિવારમાં બે બાળકીઓ તેમજ એક છ માસનો પુત્રનો પણ સમાવેશ થાય છે. પુત્રના જન્મ બાદ પત્નીનું મૃત્યું થતા છ માસનો પુત્ર સાસુમા સાથે રહેતો હતો અને ત્યાં તેનો ઉછેર થતો હતો. જો કે ત્રણ બાળકોની જવાબદારી સાથે પત્નીના મૃત્યુને લઈ છેલ્લા કેટલાક દિવસથી પતિ ચિરંજીવી પ્રજાપતિ ભારે વિરહમાં હતા. આજે વહેલી સવારના સુમારે સાસુ ચિરંજીવીના ઘરે પહોંચ્યા હતા અને બારણું ખખડાવ્યું હતું. પરંતુ અંદરથી કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. જેથી પડોશમાં રહેતી એક મહિલાની મદદ લેવા છતાં કોઈ પત્યુત્તર ન મળતા આખરે અન્ય પડોશીઓને જાણ કરી હતી.