ગુજરાત
News of Sunday, 16th June 2019

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રામાં મંગળા આરતીમાં ભાગ લેવા આવશે ગૃહમંત્રી અમિત શાહ

અમદાવાદ :4 જુલાઈનાં રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજી 142મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે દર વર્ષની જેમ મંગળા આરતીમાં કેન્દ્ર સરકારનાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ મંગળા આરતીમાં સહપરિવાર ભાગ લેશે. સાથે જ રથયાત્રામાં પહિન્દ વિધિ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભાગ લેશે. જગન્નાથજી મંદિર દ્વારા બંન્ને મહાનુભાવોને વિધિવત આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.

પ્રવાસીઓ માટે બંધ થયા ગીર જંગલના દરવાજા, 4 મહિના નહિ થઈ શકે વનરાજના દર્શન

જગન્નાથ મદિરના ગાદીપતિ મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે, મંગળા આરતીમાં ઘણા વર્ષોથી અમિતભાઈ આવે છે. તેથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. પહિન્દ વિધી સીએમની પરંપરા છે, તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વિધી કરશે. વર્ષોની પરંપરા આ વર્ષે પણ અમે અનુસરીશું. નગરવાસીઓને કહેવુ છે કે, શાંતિથી ભાઈચારાથી સૌ આ ઉત્સવ ઉજવે અને તેને નિહાળે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની 142મી રથયાત્રા 4 જુલાઈએ નીકળશે. આ રથયાત્રાના પહેલા પડાવ એટલે જળયાત્રાનું આવતીકાલે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, હાથી, બળદગાડાં, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચશે. દર વર્ષની જેમ જ આ વર્ષ એ પણ સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન આયોજિત કરવામાં આવ્યું છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવાય છે.

(2:44 pm IST)