અમદાવાદના નરોડામાંથી મહિલાની ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતા તપાસ શરૂ
અમદાવાદ: નરોડા કઠવાડા ખાત મકાનમાંથી એક મહિલાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના બની ત્યારે રૃમમાં એક યુવક હાજર હતો, આજે સવાર તે ભાગવા જતાં લોકોએ પકડીને પોલીસને સુપરત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા સેવાઇ રહી છે. કઠવાડા રોડ પર મુરલીધર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વર્ષાબબહેન પ્રવીણભાઇ જોગીયાની આજે સવારે રૃમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના પતિ ત્રણ મહિનાથી ઈન્દોર ખાતે હતા. મહિલા એક પુત્ર અને પુત્રી સાથે અહિયાં રહેતી હતી. ગઇકાલે બે બાળકો ધાબે સુતા હતા અને માતા ઘરમાં સૂતી હતી. આજે સવારે બાળકોએ આવીને ઘરનો દરવાજો ખટખટાવતાં દરવાજો બંધ હતો. સવારે ૧૧ વાગે સ્થાનિક લોકોએ ઘરનો દરવાજો ખોલવા પ્રયાસ કરતાં રૃમમાં વર્ષા બહેનની છત સાથે લટકતી લાશ મળી આવી હતી. દરમિયાન રૃમમાં છૂપાયેલો એક શખ્સે ભાગવા પ્રયાસ કરતાં સ્થાનિક લોકોએ તેને ઘરમાં પૂરી દીધો હતો અને પોલીસને જાણ કરતાં કૃષ્ણનગર પોલીસનો કાફલો આવી પહોચ્યો હતો.