રાજ્યની રાય, પારુલ, આર.કે. સહિતની ખાનગી યુનિવર્સિટીઓના કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ગેરલાયક ઠર્યા :પ્રવેશ નહિ લેવા સલાહ
ધારાધોરણોનો અમલ નહીં અને સરકારની મંજૂરી નહીં મળવી હોવાથી અભ્યાસક્રમ અમાન્ય
અમદાવાદ : રાજ્યની રાય પારુલ આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો અમાન્ય હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ અપાઈ છે
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની ખાનગી યુનિવર્સિટીના કૃષિ અભ્યાસક્રમો ગેરલાયક ઠર્યા હોવાથી વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશ ન લેવાની સલાહ આપવામાં આવે છે.
રાજ્યમાં આવેલી રાય, પારુલ, આર.કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસસી(એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટી) અને કૃષિ ઈજનેરી (ડીપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૪ ની કલમ નં.૪(૪)ની વિરુદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યુ હતું.
આ સંદર્ભે વર્ષ ૨૦૧૬ થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇકોર્ટમાં એસસીએ/ એલપીએ તેમજ સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૮ માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા છે. જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવેલ ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવેલ ન હોઈ, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉક્ત કારણોસર રાજ્યની રાય, પારુલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીની કાઉન્સીલ દ્વારા સલાહ આપવામાં આવે છે.