પ્રમાણિકતાનું ઉદાહરણ :કુવાળાના ખેડૂતને રસ્તામાંથી મળેલા પાંચ લાખના દાગીના મૂળમાલિકને પરત કર્યા
રાણાજી રાજપૂતે મૂળ માલિકનો પત્તો મેળવી ખરાઈ કરી પોતાના ઘરે બોલાવી માતાજીના મંદિર આગળ બેસાડી પરત આપ્યા
બનાસકાંઠાના કુવાળા ગામમાં એક ખેડૂતને મળેલા 5 લાખના દાગીના તેના મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતાનું જવલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે
આ અંગેની વિગત મુજબ બનાસકાંઠામાં લાખણી તાલુકાના અછવાડીયા ગામના ઉકાજી ભાણાજી રાજપૂતની પુત્રવધુ પોતાના પિયર થરાદ તાલુકાના જેતડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બાઇક ઉપર જઇ રહ્યા હતા. ત્યારે અછવાડિયાથી કુવાણા ગામના કાચા રસ્તેથી પસાર થતા તેમની જાણ બહાર થેલીમાંથી અંદાજે 15 તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્સ પડી ગયા હતા. જે દાગીના ગામના જ રાણાજી કલ્યાણજી રાજપૂતને મળી આવ્યા હતા.
જોકે, આ દાગીના ઘરે લાવી ચકાસતા 15 તોલાના દાગીના સાચે જ સોનાના હતા. બાદમાં તેઓએ આ દાગીના કોના છે તે માટે દાગીના ઘરે મૂકી રાહ જોવાનું વિચાર્યું, તે દરમિયાન તેઓએ વોટ્સએપ મેસેજમાં "અમારા સોનાના દાગીના ખોવાયેલ છે" નો મેસેજ ફરતો હોવાની જાણ થતાં જ તેઓએ મૂળ માલિકનો પત્તો મેળવી તેની ખરાઈ કરી. પોતાના ઘરે બોલાવી માતાજીના મંદિર આગળ બેસાડી ઉકાજી ભાણાજી રાજપૂતને તેમના તમામ 15 તોલા સોનાના દાગીના પરત કર્યા હતા.
આ અંગે દાગીના મળેલા પ્રામાણિક ખેડૂત રાણાજી રાજપૂતે જણાવ્યું હતું કે, વસ્તુ પથ્થર બરાબર, અમને ભલે દાગીના મળ્યા, પણ અમે તેના સાચા માલિકની શોધ કરી દાગીના પરત આપ્યા છે.
જ્યારે દગીનના મૂળ માલિક ઉકાજી રાજપૂતે જણાવ્યું હતું કે, અમારા દાગીના રસ્તામાં પડી ગયા હતા, અમને પરત દાગીના આપ્યા, અમારા ગામમાં આવા સારા પ્રમાણિક માણસો છે.