અમદાવાદમાં ઉનાળાની શરુઆતથીજ પાણીની તંગી: ડહોળું પાણી આવતા રહીશો પરેશાન
અમદાવાદ: શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની ભારે તંગી પ્રવર્તી રહી છે. ગોમતીપુર વોર્ડમાં છેલ્લા એક માસથી ફક્ત ૨૦ મીનીટ જ પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને લઇને હજારો રહીશો હાલ પાણી માટે વલખા મારી રહ્યા છે. ખૂબ જ ઓછા પ્રેસરથી પાણી આવતું હોવાથી રહીશો રોજીંદા ઘરવપરાશનું પણ પાણી ભરી શકતા નથી. આ મામલે મ્યુનિ.કોર્પોરેશનની પૂર્વ ઝોનની કચેરીમાં વારંવારની રજૂઆતો કરાઇ હોવા છતાંય અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું ન હોવાની લાગણી રહીશો અનુભવી રહ્યા છે. ગોમતીપુર વોર્ડમાં જેઠાલાલ કુમારની ચાલી, મારવાડીની ચાલી, ગજાનંદની ચાલી, એમ.બી.કોમ્પ્લેક્ષ, લાલભાઇ ફકિરની ચાલી, સુંદરમનગર, વિશ્વનાથ નગર, ભવાની ચોક, ધોબીની ચાલી, ઝુમ્માખાન પઠાણની ચાલી સહિતના વિસ્તારોમાં પાણીનો કકડાળ મોટાપાયે ઉઠવા પામ્યો છે. હજારો રહીશો રોજ સવારે પાણી માટે ફાંફે ચઢતા હોય છે.