આણંદના લીમડાવાળામાં અગાઉ સોસાયટીના ચેરમેનને આપઘાત કરવા મજબુર કરનાર 5 વિરુદ્ધ પોલીસ ફરિયાદ
આણંદ: શહેરના લીમડાવાળા દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલા લાલ બંગલામાં રહેતા અને શિનાઈ કો. ઓ. ક્રેડિટ સોસાયટીના ચેરમેને ૩ મહિના પહેલાં કરેલા આપઘાત કેસમાં આખરે પોલીસે આપઘાત કરવા દુષ્પેરણ કરનાર ૫ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને આણંદ એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ગત ૨૮-૧-૨૦૧૯ના રોજ સવારના સુમારે શિનાઈ કો. ઓ. ક્રેડિટ સોસાયટીના ચેરમેન રૂપેશભાઈ શાત્કીવકભાઈ રાયે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલાં તેમણે જુદી-જુદી તારીખોએ લખેલી કેટલીક સ્યુસાઈટ નોટો મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરીને તપાસ કરતાં રૂપેશને સંદિપભાઈ અશોકભાઈ પરમાર (આણંદ), રાજ હિતેન્દ્રસિંહ દિલિપસીંહ, (આણંદ), રાજેશભાઈ રમણભાઈ વાઘેલા (ચકલાસી)તથા રાહુલભાઈ ભરવાડે તુલસી ગરનાળા પાછળ ગામડી જવાના રોડ ઉપર આવેલી આંબાવાડીયુ તરીકે ઓળખાતી જમીન ૪.૯૫ કરોડમા વેચાણ આપવાનું નક્કી કરીને રૂપેશભાઈ પાસેથી ૨.૩૮ કરોડ રૂપિયા મેળવ્યા બાદ પણ દસ્તાવેજ કરી આપ્યો નહોતો અને ત્યારબાદ આ જમીન બીજાને વેચી મારી હતી અને દેવાંગ બ્રહ્મભટ્ટ પાસે ભેટો કરાવીને પૈસા પરત મળી ગયા છે તેવું ધાકધમકીઓ આપીને લખાણ કરાવી લીધું હતુ.