અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ મામલે કઠવાડાના યુવક પાસેથી મોબાઈલ જપ્ત
આ યુવકે ચિરાગના ફોનમાંથી તમામ ડેટાનો નાશ કર્યો ;યુવકની સઘન પૂછપરછ
અમદાવાદનાપત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચે કઠવાડાના એક યુવક પાસેથી ચિરાગ પટેલનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચિરાગ પટેલની નરોડા નજીકથી લાશ મળી આવ્યા બાદ પત્રકારોએ કરેલા આંદોલનના પગલે તેના અપમૃત્યુ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
મૃતક ચિરાગનો મોબાઇલ ફોન ઘટના સ્થળેથી ન મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કઠવાડાના એક યુવક પાસેથી ચિરાગના ફોનને કબ્જે કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવકે ચિરાગના ફોનમાંથી તમામ ડેટાનો નાશ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ શંકાસ્પદ યુવકની પૂછપરછ શરૂ કરી છે.
ચિરાગ પટેલની હત્યા થઈ હતી કે આત્મહત્યા તે હજુ પણ અકબંધ છે ત્યારે આ મોબાઇલ ફોન તપાસમાં મહત્ત્વની કડી સાબિત થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. જે યુવક પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો છે તેના મૃતક ચિરાગ સાથેના સંબંધોની પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે