ગુજરાત
News of Wednesday, 15th May 2019

રાજ્યમાં સામાજીક સમરસતા સ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ

ડીવાયએસપી સામે તપાસ કરવા માટે આદેશ : રાજ્યની શાંતિ હણનાર તત્વોના રાજ્યની શાંતિ ડહોળવા અંગેના પ્રયાસોને સરકાર સાંખી લેશે નહીં : પ્રદીપસિંહ

અમદાવાદ,તા. ૧૫ : ઉત્તર ગુજરાતમાં દલિતોને વરઘોડો કાઢવા બાબતે થયેલા હુમલાના બનાવો બાદ મોડે મોડે હવે રાજ્ય સરકાર સફાળી જાગી હતી. ગઈકાલે જ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સરકારી કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી આપીને દલિત મહાસંમેલનની જાહેરાત કરી હતી ત્યારે રાજ્ય સરકાર પણ હાંફળીફાંફળી બની દલિતોની સાથે હોવાની દલિત હિમાયતી સરકાર હોવાની જાહેરાત કરતાં હરકતમાં આવી છે. સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દલિતોને પણ વરઘોડા કાઢવાનો અધિકાર છે. સરકાર દલિતો સાથે હર હંમેશ છે અને રહેશે. દલિતોને વરઘોડો નહી કાઢવા દેવાના સમગ્ર વિવાદમાં સંદર્ભે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે અને લોકો ભાઇચારાથી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં દલિત સમાજના યુવાનોને વરઘોડાનો અધિકાર છે પરંતુ રાજ્યમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન જે ઘટનાઓ ઘટી રહી છે તે અત્યંત દુઃખદ છે. રાજ્ય સરકાર આ માટે સતત ચિંતિત છે. બનેલી ઘટનાઓ સંદર્ભે જે તત્વો સંડોવાયેલા હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. સરકાર હરહંમેશ દલિતોની સાથે છે અને કાયમ રહેશે જ. કડી તાલુકાના લ્હોર ગામે પ્રથમ ઘટના બાદ તરત જ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ સંવેદના દાખવીને રાજ્યની શાંતિ, સલામતી અને ભાઇચારાની ભાવના ડહોળાઇ નહીં તે માટે સતત માર્ગદર્શન આપીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુચનાઓ આપી હતી. લ્હોર ગામે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા સ્થાનિક ધારાસભ્ય કરસનભાઇ સોલંકીએ રૃબરૃ પહોંચીને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજીને તમામને સમજાવાયા હતા અને ગામમાં સુલેહ સ્થાપવાના પ્રયાસો પણ કરાયા હતા. સાથે સાથે રેન્જ આઇ.જી. અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની ત્વરિત કામગીરીના પરિણામે લ્હોર ખાતે જનજીવન ગણતરીની પળોમાં જ પૂર્વવત થઇ ગયું હતું. જાડેજાએ ઉમેર્યું હતું કે, ગુજરાત એ વિકસિત રાજ્ય છે.

રાજ્ય સરકારની રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સુપેરે પરિસ્થિતિના કારણે રાજ્યમાં શાંતિ જળવાઇ રહી છે. ત્યારે કેટલાક વિધટનકારી તત્વો કે જે ચૂંટણીમાં હાર ભાળી ગયા છે તેઓ ગુજરાતની શાંતિને હણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેને રાજ્ય સરકાર કયારેય સાંખી લેશે નહીં. આવા તત્વોને રાજ્યના સૌ પ્રબુધ્ધ નાગરિકો સારી રીતે ઓળખે જ છે. કડી તાલુકાના લ્હોર ખાતે બનેલા બનાવ સંદર્ભે પાંચ વ્યક્તિઓની અટકાયત કરાઇ છે. તેમજ મોડાસા તાલુકાના ખંભીરસર ગામે પણ દલિત સમાજ દ્વારા વરઘોડા માટે પોલીસ બંદોબસ્ત માંગતા પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ વરઘોડો શાંતિથી પૂર્ણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.

વરઘોડા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પુરતા પગલા લેવાયા હતા. જેના પરિણામે કોઇ ઘટના ઘટી ન હતી. નાયબ પોલીસ અધિક્ષક સામેના આક્ષેપો સંદર્ભે અરવલ્લી પોલીસ અધિક્ષકને તપાસ સોંપવામાં આવી છે અને અહેવાલ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.

(7:53 pm IST)