ગુજરાત
News of Wednesday, 15th May 2019

શિક્ષક વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો

આણંદનાં આંકલાવમાં બે સંતાનનો પિતા એવા લંપટ : ચિઠ્ઠી લખીને વિદ્યાર્થીનીએ લખ્યું મને માફ કરજે મમ્મી હું જાવ છું પાછી નહીં આવું

આણંદ, તા.૧૫: આણંદના આંકલાવ હાઇસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતો પરીણિત અને બે સંતાનના પિતા એવો શિક્ષક શાળાની ૧૨માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતાં ચકચાર મચી છે. આ અંગે વિદ્યાર્થીનીની માતાએ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે આં લંપટ શિક્ષક સામે ભારે રોષ ફેલાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ આંકલાવમાં આવેલી માધ્યમિક કેળવણી મંડળ શાળામાં ધો.૫થી ૮મીનો પરણિત શિક્ષક ધર્મેન્દ્રસિંહ કિરણસિંહ પરમાર (ઉ.વ. ૨૫) ( રહે. આસોદર) કેટલાક વર્ષોથી ફરજ બજાવે છે.શાળાની ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને ૭મીના રોજ બપોરના ૨ વાગ્યા બાદ ભગાડીને લઇ ગયો હતો  મોડી સાંજ સુધી વિદ્યાર્થિની ઘરે ન આવતાં તેમના પરિવારજનોએ સંગાસંબંધીને ત્યાં તપાસ કરી હતી. તેમ છતાં તેનો કોઇ પતો લાગ્યો ન હતો. તે દરમિયાન ઘરમાંથી વિદ્યાર્થિની સહીવાળી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું મને માફ કરજે મમ્મી હું જાવ છું મને શોધતા નહીં હું પાછી નહીં આવું તેવી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. ચર્ચાતી વિગત મુજબ યુવતી નવમા ધોરણમાં હતી ત્યારથી જ આ શિક્ષકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ બાબતે સંસ્થાને જાણવામાં આવ્યું હતું કે આ લંપટ શિક્ષકની ફરીયાદ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. આ અંગે આંકલાવ હાઇસ્કૂલના મંડળે જણાવ્યું કે અમને પણ પોલીસ ફરિયાદ થઈ ત્યારે જ ખબર પડી. સંપૂર્ણ તપાસ કરી દોષિત શિક્ષક સામે સખત કાયદેસરનાં પગલાં ભરાશે.

(11:23 am IST)