પાદરા-વડોદરા રોડ નજીક કેનાલમાં બાઈક સાથે ખાબકેલા યુવાનના મૃતદેહને બહાર કાઢી પોલીસે મૃત્યુ અંગે ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી
પાદરા: પાદરા-વડોદરા રોડ પર આવેલ સાંગમા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાન પોતાની બાઇક સાથે ખાબકતા મોડીરાત્રે તેની ભારે શોધખોળ બાદ આખરે યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી.
સાંગમાં ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બાઇક સાથે એક યુવક લાપતા થઈ ગયો હતો. આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતા લોકો સ્થળ પર દોડી ગયા હતા અને કેનાલમાં ખાબકેલા યુવકની શોધખોળ શરૃ કરી હતી. મોડી રાત્રે યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવના પગલે કેનાલ પાસે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
પાદરા પોલીસે તપાસ કરતા મૃતક યુવાન અટલાદરા નારાયણવાડી પાસે કૃષ્ણદર્શન સોસાયટીમાં રહેતો આનંદસ્વરૃપ ઓમપ્રકાશ દ્વિવેદી હોવાનું જાણવા મળ્યું હતું. પરપ્રાંતિય યુવાન કેવા સંજોગોમાં કેનાલમાં ખાબક્યો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.