કોરોના મહામારીના કારણે ધો. ૧૦-૧ર ની બોર્ડની પરીક્ષાઓ રદ કરાયાના પરિપત્ર તમામ શાળાઓને મોકલી દેવાયા
રાજકોટ તા. ૧૬ :.. ગુજરાતમાં કોરોના કેસ વધતા ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવાની મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની જાહેરાત બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને પરિપત્ર મોકલીને તેની જાણ કરાઇ છે.
પરિપત્રમાં જણાવ્યુ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની વર્ષ ર૦ર૧ ની પરીક્ષાઓ તા. ૧૦-પ-ર૦ર૧ થી તા. રપ-પ-ર૦ર૧ દરમ્યાન યોજવામાં આવેલ હતી.
કોવીડ-૧૯ ની સાંપ્રત પરિસ્થિતિમાં રાજયના ૮ મહાનગર પાલિકા વિસ્તારોમાં અને ર૦ શહેરોમાં રાત્રી કર્ફયુ લાદવામાં આવેલ છે. બોર્ડ દ્વારા ૮ મહાનગરપાલિકા વિસ્તારોમાં ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહના પ્રાયોગિક પરીક્ષા પણ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે તેમજ ધોરણ-૧૦ ના શાળા કક્ષાઍ યોજવાના વિષયની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવેલ છે.
આમ કોવીડ-૧૯ ની સાંપ્રત પરિસ્થિતિ ધ્યાને લેતાં રાજય સરકાર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ કે જે આગામી તા. ૧૦-પ-ર૦ર૧ થી તા. રપ-પ-ર૦ર૧ દરમ્યાન યોજવાની હતી. તે હાલ પૂરતી સ્થગીત રાખવામાં આવે છે. કોવીડ-૧૯ ની સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા કરીને આગામી તા. ૧પ-પ-ર૦ર૧ ના રોજ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરીક્ષાના આયોજનની વિચારણા ઉચ્ચ કક્ષાઍ કરવામાં આવશે. ધોરણ-૧૦ અને ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ કરવાની નવી તારીખ નકકી કરવામાં આવે તે તારીખ અને જાહેરાતની તારીખ વચ્ચે ઓછામાં ઓછા ૧પ દિવસનો સમયગાળો પરીક્ષાર્થીઓને મળી રહે તે રીતે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.
સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાને લેતાં વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-૯ થી ધોરણ-૧ર નું પ્રત્યક્ષ શિક્ષણ (વર્ગખંડ શિક્ષણ) આગામી તા. ૧૦-પ-ર૦ર૧ સુધી અથવા રાજય સરકાર દ્વારા અન્ય આદેશ ન થયા ત્યાં સુધી બંધ રાખવાનું રહેશે. ઓનલાઇન શિક્ષણ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે. તેમ ડી. ઍસ. પટેલ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.