ગુજરાત
News of Monday, 15th April 2019

મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત બનેલા હથીયારોથી દેશને 1,70 ,000 કરોડની બચત થઇ : વિજયભાઇ રૂપાણી

ગ્રેટ----ભાજપાની સરકાર ગરીબો, વંચિતો, કિસાનો, પિડીતો અને શોષીતો માટે સમર્પિત :તમે ગમે તેટલો કાદવ ઉછાળશો પણ કમળ તો સોળે કળાએ ખીલી ઉઠશે;કેશોદમાં વિજયભાઇ રૂપાણીએ જંગી જનમેદનીને સંબોધી

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રમેશભાઇ ધડુકના સમર્થનમાં કેશોદ ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, લોકસભાની આ વખતની ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદો એ છે કે, આ દેશ કોના હાથમાં સલામત છે. જ્યાં દેશની સુરક્ષાની વાત આવે ત્યારે દેશને શક્તિશાળી બનાવવા માટે આપણી ત્રણેય સેનાને અત્યાધુનિક યુધ્ધ વિમાનો, ટેન્કો, જવાનો માટે બુલેટપ્રુફ જેકેટ અને આધુનિક રાઇફલો જેવી સામગ્રીઓથી સુસજ્જ કરવી પડે, જેના માટે શ્રી નરેન્દ્રભાઇ મોદી એકદમ સજાગ છે. તેમનું મિશન છે કે, ૨૦૨૪ સુધી ભારતીય સેનાને વિશ્વની સૌથી શક્તિશાળી સેના બનાવવી છે, જેથી કોઇ દુશ્મન દેશ ભારત સામે ઉંચી આંખ કરીને ના જોઇ શકે. રક્ષા ક્ષેત્રમાં મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત બનેલા હથીયારોથી દેશને એક લાખ સિત્તેર હજાર કરોડની બચત થઇ છે, જેને નરેન્દ્રભાઇ મોદીએ “નામુમકીનને મુમકીન” કરી બતાવ્યું છે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કરનાર વિચારધારાને દેશહિત અને દેશદાઝ ધરાવતાં લોકો ક્યારેય સમર્થન નહીં આપે. આજે કોંગ્રેસ જાતિવાદ, સંપ્રદાયવાદ, ધાર્મિક કટ્ટરતા ફેલાવીને દેશને તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં આ બધી જ બાબતો જણાવી છે. ૩૭૦ની કલમ દૂર નહીં કરીએ એવું કહીને અલગાવવાદી નેતાઓને બળ મળે તે માટે ખુલ્લુ સમર્થન આપ્યું છે. રાષ્ટ્રદ્રોહનો કાયદો હટાવીને ટુકડે ટુકડે ગેંગને સમર્થન આપ્યું છે. સેના ઉપર કાનુની કાર્યવાહી કરવા સરકારની પરવાનગી વગર મંજૂરી આપવાની વાત કરીને તેઓ શું કહેવા માંગે છે ?

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાંચ વર્ષ સુધી દેશને સ્થિર અને મજબૂત સરકાર આપી છે. દેશ અને વિવિધ સમાજના સર્વાંગી વિકાસ માટે સ્થિર, પ્રમાણિક, મજબૂત અને સક્ષમ નેતૃત્વવાળી સરકાર જરૂરી છે. કોંગ્રેસ કે ગઠબંધનમાં આમાંનો એકપણ ગુણ જોવા મળતો નથી. ભાજપાની સરકાર ગરીબો, વંચિતો, કિસાનો, પિડીતો અને શોષીતો માટે કામ કરી રહી છે. ખેડૂતોને વાર્ષિક રૂ. ૬,૦૦૦ આપવાની વાત કરી રહી છે. મધ્યમવર્ગના ત્રણ કરોડ કરદાતાઓને પાંચ  લાખ સુધીની આવક પર કરમુક્તિ આપીને રાહત આપી છે. કિસાનો અને નાના વેપારીઓને ૬૦ વર્ષની ઉંમર પછી પેન્શન આપવાની જોગવાઇ કરી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ૫૦ કરોડ લોકોને પાંચ લાખ સુધીની તબીબી સહાય આપી રહી છે, જેનો અત્યાર સુધીમાં ૨૫ લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. આ સિવાય જન ધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજાલા અને ઉજ્વલા યોજના, શૌચાલય યોજના, મુદ્રા યોજના એમ ઘણી બધી યોજનાઓ ગરીબો માટે અમલમાં મૂકી છે. 

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલમાં દુનિયાના ૨૫ શક્તિશાળી દેશોની યાદી જાહેર થઇ, તેમાં ભારત ચોથા નંબર ઉપર છે. આપણાથી આગળ ફક્ત અમેરીકા, રશિયા અને ચીન છે. ભારત દેશ જે રીતે તેજ ગતિથી વિકાસની યાત્રા કરી રહ્યો છે, તે જોતાં લાગે છે કે, આવનારા ભાજપાના શાસનના પાંચ વર્ષોમાં આ વિકાસની ગતિ વધુ રફતાર પકડશે, અને દુનિયાના શક્તિશાળી દેશોની યાદીમાં ટોચના ક્રમાંકે પહોંચશે. આ બધુ શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા પ્રામાણીક, પરીશ્રમી અને રાષ્ટ્રભક્ત વડાપ્રધાનના કારણે જ શક્ય બન્યું છે.

  શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતી છે, અને ગુજરાતનું ગૌરવ છે. કોંગ્રેસ ગુજરાતને હંમેશા અન્યાય કરતી આવી છે, અને એટલે જ કોંગ્રેસને ગુજરાતી વડાપ્રધાન વિરૂધ્ધ ખોટા અને પાયાવિહોણા જુઠ્ઠાણાઓ ફેલાવી તેમનો વિરોધ કરી રહી છે. આપણે સૌ ગુજરાતીઓએ કોંગ્રેસને બતાવી આપવવાનું છે કે, તમે ગમે તેટલો ભાજપા ઉપર કાદવ ઉછાળશો પણ કમળ તો એ જ કાદવમાં સોળે કળાએ ખીલી ઉઠશે. ભારતમાતાને ગૌરવવંતી બનાવવા આપણે પુન: શ્રી નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન પદે આરૂઢ કરવા શ્રી રમેશભાઇ ધડુકને દિલ્હી મોકલી આપવાના છે.  

કેશોદ ખાતેની આ વિશાળ જનસભામાં પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઇ ધડુક, પોરબંદર લોકસભાના પ્રભારી અને ઇન્ચાર્જ, પ્રદેશ અગ્રણીઓ, ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, જીલ્લા સંગઠનના હોદેદારઓ, સ્થાનિક આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ, સમર્થકો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:13 pm IST)