ગુજરાત
News of Monday, 15th April 2019

વેદવ્યાસ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનો આપણા માટે શ્રેષ્ઠ પ્રમાણરુપ છે : શા.માધવપ્રિયદાસજી સ્વામી

આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ભારત ભૂમિમાં ભગવાન અને તેના અવતારો, ઋષિમુનિઓ સમયે સમયે પ્રગટ થાય છે: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી: મેમનગર ગુરુકુલ ખાતે ઉજવાયેલ શ્રી સ્વામિનારાયણ જન્મજયંતી અંતર્ગત વચનામૃત અનુષ્ઠાન --મહાવિષ્ણુયાગ-રાજોપચાર પૂજન – નીલકંઠ વર્ણીને પયોભિષેક, રામ જન્મોત્સવ ૫૦૦૦ ઉપરાંત ભાવિકો સમૂહ આરતીમાં જોડાયાં

અમદાવાદ તા. ૧૫ ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ પ્રસંગે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજીત ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર સહિત રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ રાજોપચાર પૂજનમાં ચાર વેદ, વૈદિક પુરુષ સુક્તના મંત્રોનું સ્તવન, અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, નૃત્ય વગેરેથી પૂજન કરવામાં અાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. દરેક હરિભકતોએ નિલકંઠ વર્ણીને દૂધાભિષેક કરી અનેક પ્રકારના મેવા-મિઠાઇનો થાળ, સુકા મેવા તથા ફળો અર્પણ કરી મહાપૂજા કરી હતી. હરિભકતો દ્વારા દૂધથી નિલકંઠ વર્ણી ભગવાનનું પયોભિષેક કરવામાં આવ્યું હતું.

    સાંપ્રત સમયમાં અશાંતિ પેદા ન થાય, વિશ્વમાં સર્વત્ર શાંતિ પ્રવર્તે તેવા શુભ હેતુથી છેલ્લા સાત દિવસથી મેમનગર ગુરુકુલમાં વચનામૃત અનુષ્ઠાન અંતર્ગત મહાવિષ્ણુયાગની આજે પૂર્ણાહૂતિ કરવામાં અાવી હતી.

    ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ પ્રસંગે હિંડોળા ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ સમૂહ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ૫૦૦૦ ઉપરાંત ભાવિકોએ સમૂહમાં આરતિ ઉતારવાનો લાભ લીધો હતો.

    આ પ્રસંગે અમેરિકા જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે આગામી તા.૧૭ થી ૨૧ અેપ્રીલ દરમ્યાન ઉજવાતા મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ પૂ. શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, આજનો દિવસ અત્યંત મંગળકારી છે. કારણકે પવિત્ર ભારત ભૂમિમાં એક જ તીથિએ ભગવાન રામચન્દ્રજી અને ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયુ છે.

    દિવસો બધા એક સરખા લાગે પણ રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રી, દિપાવલી, એકાદશી, પૂર્ણિમા વગેરે દિવસોની તોલે કોઇ બીજા દિવસ ન આવી શકે.

    ભગવાન વેદવ્યાસના, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનો આપણા માટે શ્રેષ્ઠ પ્રમાણરુપ છે. તેમના વચનોની અને તેમના પ્રમાણોની તોલે કોઇ આવે નહી.

    અમેરિકા ઉત્સવમાં પધારેલ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ભારતભૂમિમાં ભગવાનના અવતારો અને ઋષિમુનિઓ સમયે સમયે પ્રગટ થઇને આપણને સુખ આપે છે. અત્યારે અહીં સવાનાહ ખાતે ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. અહીંના લોકોમાં ભકિતભાવ અને મહિમા અદ્વિતીય અને અજોડ છે. આ પ્રસંગે કોઠારી ધર્મનંદનદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

    આ પ્રસંગે સંતો અને હરિભકતોનો સમૂહ રાસ યોજાયો હતો તેમા સૌ કોઇ મન મૂકીને નાચ્યા હતા. સંતોના સમૂહ રાસમાં પુ. ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામી અને અમેરિકા સ્થિત ડો. ધડુક સાહેબ પણ જોડાયા હતા. મેમનગરના વિદ્યાર્થીઓએ જન્મોત્સવ નૃત્ય રજુ કર્યુ હતું. અંતમાં દર્શનાર્થીઓ તમામને પંજરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. સભાનું સંચાલન સુપેરે ભાનુભાઇએ સંભાળ્યું હતું.

 

(12:18 pm IST)