ગુજરાત
News of Saturday, 16th March 2019

માથામાં બોથડ પદાર્થ મારી યુવકની ઘાતકી હત્યા કરાઈ

ઓઢવમાં બનેલા બનાવથી ભારે સનસનાટી : યુવકની હત્યા કોણે કરી તેને લઈને ઉંડી તપાસ હાથ ધરાઈ

અમદાવાદ,તા. ૧૬ : ઓઢવમાં આવેલ ભુવાલડી પાસે મોડી રાતે કોઇ ઇસમ યુવકની કરપીણ હત્યા કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોઈ કારણસર યુવકની માથામાં બોથડ પદાર્થ મારી તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. નિકોલ પોલીસે હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઓઢવમાં મોતી ભગતની ચાલીમાં રહેતા શેતાનભાઈ વણઝારાએ નિકોલ પોલીસમાં હત્યાની ફરિયાદ કરી છે કે તેમની પાડોશમાં વર્ષોથી તેજાજી વણજારા (ઉં.વ.૪૦) રહે છે. તેજાજીનાં માતા-પિતાનું ચાર વર્ષ અગાઉ નિધન થતાં તેઓ એકલવાયું જીવન જીવતા હતા અને છૂટક મજૂરી કરતા હતા. ગઈકાલે શેતાનભાઈના મામાના દીકરાનો સવારના આઠ વાગ્યે ફોન આવ્યો હતો કે, તેજાજી બેભાન હાલતમાં ભુવાલડી મેઇજ પ્રોડક્ટની પાછળ ખાડામાં પડ્યા છે. હત્યાના સામાચાર સાંભળીને શેતાનભાઈ ઘટનાસ્થળે પર દોડી ગયા હતા. જ્યાં તેજાજી લોહીથી લથપથ હાલતમાં ખાડામાં પડ્યા હતા. તેજાજી પર કોઈ અજાણ્યા ઈસમે માથામાં બોથડ પદાર્થ મારી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં તે બેભાન હાલતમાં ખાડામાં પડ્યા હતા, જોકે શેતાનભાઈએ ઇજાગ્રસ્ત તેજાજીને તાત્કાલિક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. નિકોલ પોલીસે ફરિયાદના આધારે બનાવની તપાસ હાથ ધરી હતી.   

 

(8:13 pm IST)