ગુજરાત
News of Saturday, 16th March 2019

ન્યુઝીલેન્ડની મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં બે ગુજરાતીના મોત : વડોદરાના પિતા - પુત્ર લાપતા

હુમલામાં મૂળ વડોદરા આરીફ વોરા અને તેમના પુત્ર રમીઝ વોરા લાપતા થતા પરિવારના જીવ તાળવે ચોંટી ગયા છે

નવી દિલ્હી તા. ૧૬ : ન્યુઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ નજીકની બે મસ્જિદોમાં આતંરવાદી હુમલો થયો હતો. જેમાં બે ગુજરાતીના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. બે ગુજરાતીમાં એક સુરત જિલ્લાના રહેવાસી યુવકો છે. જયારે મૂળ વડોદરાના પિતા-પુત્ર પણ લાપતા થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. મળતી મહિતી પ્રમાણે મૃતકો પૈકી હુલાહાના રહેવાસી હાફીઝ મુસા પટેલ તો મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતા હતા.સાંજે નમાજ વેળા આ જાહેરાત થતાં જ સમાજમાં શોકની કાલિમા પ્રસરી ગઇ હતી. ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આવેલ બે મસ્જિદ પૈકી અલનુર મસ્જિદ તેમજ લોટાકા મસ્જિદમાં થયેલી આતંકી હુમલાએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યું છે. ચાલુ નમાજ દરમિયાન આતંકીઓ દ્વારા ટ્વીટર એફ-બી ઉપર લાઇવ રેકોર્ડિંગ સાથે કરેલા અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બ્રશ ફાયરિંગમાં ૫૦ થી વધુના મોત નિપજયા હતાં.

આ ઘટનાએ આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. મસ્જિદના ખૂણેખૂણામાં ફરી નમાજીઓને ગોળી મારવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં જીવંત પ્રસારિત કરવાની આ માનસિકતા વધુ વહેસી હતી. મસ્જિદમાં થયેલા હુમલામાં જે વ્યકિતઓએ જીવ ગુમાવ્યો તેમાં સુરત જિલ્લાના લુહારા તેમજ તડકેશ્વરના બે લોકો આતંકી હુમલામાં ગોળીબારનું નિશાન બની પોતાની જીવ ગુમાવ્યો હતો.

સુરત જિલ્લાના તડકેશ્વરના રહીશ તેમજ ૧૦ વર્ષથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા ૩૫ વર્ષીય જુનેદ યુસુફ કારા મસ્જિદમાં નમાજ પઢવા માટે ગયા હતા. તેઓ અલ્લાહની ઇબાદતમાં મગ્ન હતાં ત્યારે જ ગોળી વાગી અને મોતને ભેટયા હતા. આ ઉપરાંત માંગરોલ તાલુકાના લુહારાના હાફીઝ મુસા પટેલ પણ હુમલાનો ભોગ બન્યા હતા. ક્રાઇસ્ટચર્ચની લોટાકા મસ્જિદમાં મૌલવી તરીક સેવા આપતાં હાફીઝ મુસા પટેલ પણ ઉપરોકત ફાયરિંગમાં શરીરના વિવિધ ભાગે ગોળીઓ વાગી અને તેમનું મોત થયું હતું. મસ્જિદમાં થયેલા હુમલામાં તડકેશ્વર તેમજ લુહારા ગામના યુવકોના મોત થયાની વાત માડી સાંજે બહાર આવી હતી.

વધુ મળતી માહિતી પ્રમાણે આ હુમલામાં મૂળ વડોદરા આરીફ વોરા અને તેમના પુત્ર રમીઝ વોરા લાપતા થતા પરિવારના જીવ તાળવે ચોંટી ગયાં છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં ધાનાની પાર્કમાં રહેતાં ૫૮ વર્ષીય આસીફ મહંમદભાઇ વોરાના ૨૮ વર્ષીય પુત્ર રમીઝ વોરાઅને તેમની પત્ની ખુશબુ થોડા વર્ષ અગાઉ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં. રમીઝ વોરા ન્યૂઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ખુશબુ ગર્ભવતી હોવાથી આસીફભાઇ અને તેમની પત્ની રૂકસાના થોડા સમય પહેલાં ન્યૂઝીલેન્ડ ગયાં હતા. લગભગ ૬ દિવસ અગાઉ જ ખુશબુએ બાળકીને જન્મ આપ્યો હતો. રૂકશાનાબેન ખુશબુ સાથે હોસ્પિટલમાં જ છે. આજે આસીફભાઇ અને પુત્ર રમીઝ ન્યૂઝિલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જીદમાં શુક્રવારની નમાજ અદા કરવા ગયાં હતાં. મસ્જિદમાં અચાનક આતંકવાદી હુમલો થયો જેમાં ૪૯ લોકોના મોત થયાં છે.

આતંકી હુમલા બાદ આરીફભાઇ અને રમીઝ બંને લાપતા થયાં હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ગમખ્વાર ઘટનાને પગલે વડોદરામાં રહેતા આરીફભાઇના પરિવાર સહિત સગા-સંબંધીઓના જીવ પડીકે બંધાઈ ગયાં છે.

(10:28 am IST)