ગુજરાત
News of Saturday, 16th February 2019

આણંદના પરીખભુવનમાં તપાસમાં ગયેલ પોલીસ પર પાઇપ-લાકડાથી જીવલેણ હુમલો

આણંદ: શહેરના પરીખભુવનમાં ગઈકાલે રાત્રીના સુમારે તપાસમાં ગયેલી પોલીસ પર ત્રણ શખ્સોએ લોખંડની પાઈપ અને લાકડીથી હુમલો કરીને માર મારતા અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના દશેક વાગ્યાના સુમારે ગામડી ચોકીના જમાદાર પ્રવિણભાઈ અને લોકરક્ષક સિધ્ધરાજસિંહ મારામારીની તપાસમાં પરીખ ભુવનમા આવેલી જલારામ પાર્ક સોસાયટીમાં ગયા હતા જ્યાં પ્રશાંતભાઈ અશોકભાઈ પાટીલે પોલીસ અહીંયા કેમ આવી છે તેમને ભગાડો તેમ જણાવીને પોતાના ભાઈ મહેશભાઈ તથા રાજુભાઈને ઉશ્કેરણી કરતાં તેઓ લાકડી અને પાઈપ લઈને આવી ચઢ્યા હતા અને મહેશે પોતાની પાસેની લાકડીની ઝાપોટ પ્રવિણભાઈને જમણા હાથે મારી દીધી હતી. જ્યારે પ્રશાંતે લોખંડની પાઈપ સિધ્ધરાજસિંહને માથામા મારી દેતાં તે લોહીલુહાણ થઈ ગયા હતા. ભારે હોહા થતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા જેથી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

 

(5:49 pm IST)