ચીખલીના સિયાદામાં બે મૃત કાગડા બર્ડ ફ્લુ પોઝિટિવ : એક કિલોમીટરની ત્રિજ્યામાં અવર-જવર પર પ્રતિબંધ
ચીખલી: સિયાદા ગામે હરીશભાઈ નારણભાઈ પટેલ ના સરૂના ખેતરમાં મળી આવેલ મૃત કાગડાઓ પૈકી બે ના સેમ્પલ બર્ડફ્લુ પોઝિટિવ આવતા સિયાદા ગામે ફડવેલ પીએચસીના ડો.સુમિત પટેલ, નાયબ પશુપાલન નિયામક ડો.ડી.બી.ઠાકોર,પશુ ચિકિત્સક ડો.કલ્પેશ પટેલ ડો.યોગેશ પટેલ સહિતની ટીમ દ્વારા મુલાકાત લઇ આજુબાજુના એક કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારમાં વિવિધ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.અને સિયાદા સાથે ખુડવેલ ,ફડવેલ, કણભઇ સહિતના ગામોમાં ફરી સર્વેની કામગીરી કરી મરઘા ફાર્મ,બેકયાર્ડ પોલ્ટ્રીમા હયાત પક્ષીઓ,બહારથી આવતા પક્ષીઓમા બીમારીના લક્ષણો,એક સાથે ઘણા બધા પક્ષીઓનું મરણ થાય તેવા કિસ્સામાં તાલુકા પશુચિકિત્સક ને જાણ કરવા,મરણ થયેલ પક્ષીઓને સાત થી આઠ ફૂટનો ખાડો ખોદી તેમાં ચૂનો અને મીઠું નાંખી માટીથી દાટી દેવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી.મરઘીનું માસ યોગ્ય રીતે શેકીને-પકવીને ખાવા,પોલ્ટ્રી ફાર્મ કામ કર્યા બાદ હાથને ગરમ પાણી અને સાબુથી વારંવાર ધોવા સહિતની સલાહ આપવામાં આવી હતી.