વડોદરા:કલાલી વુડાના મકાનમાં પાણી ભરવાના મુદ્દે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
વડોદરા:કલાલી વુડાના મકાનમાં પાણી ભરવાના મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
સંતોષીનગર વુડાના મકાનમાં રહેતાં ભાનુભાઇએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા બ્લોકમાં રહેતા તેજુભાઇ રમણભાઇ વણઝારા અને રેવાબેન રમણભાઇ વણઝારાએ અમારા બ્લોકમાં આવતા પાણીની લાઇનનો કોક બંધ કરી દીધો હતો.
જેથી. હું તેઓને કહેવા ગયો હતો. પરંતુ, બંન્નેએ મારી સાથે ઝઘડો કર્યો હતો. રેવાબેને મને પકડી રાખ્યો હતો અને તેજુભાઇએ મને માથામાં હથોડી મારી ઇજા પહોંચાડી હતી. મારો પુત્ર મને છોડાવવા વચ્ચે પડતા તેજુભાઇએ તેને પણ માથામાં પથ્થર મારી ઇજા પહોંચાડી હતી.
જ્યારે સામાપક્ષે તેજુભાઇ વણઝારાએ (૧) મહેશ ભાનુભાઇ (૨) નરેશ ભાનુભાઇ તથા (૩) રેખાબેન મહેશભાઇ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે આરોપીઓએ પાણીનો કોક ચાલુ બંધ કરવાના મુદ્દે ઝઘડો કરી લાકડીથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી. માંજલપુર પોલીસે બંન્ને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.