નીલગાયનો શિકાર કરવા ગયેલી ટોળકી દ્વારા મિસફાયર થતા એક સાગરિતનું મોત :ચકચાર
કરજણના ચોરંદા ગામની સીમમાં શિકાર કરવાના ઇરાદે નીલ ગાય પર ફાયરિંગ
વડોદરા : જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં મોડી રાત્રે નીલ ગાયનો શિકાર કરવા આવેલી ટોળકીએ નીલ ગાય ઉપર ફાયરિંગ કર્યુ હતું. જોકે, ફાયરિંગમાં ટોળકીના જ એક સાગરીતને ગોળી વાગતા મોત નિપજતા ચકચાર મચી ગઇ હતી
ભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામની નીલ ગાયનો શિકાર કરતી ટોળકી મોડી રાત્રે કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં નીલ ગાયનો શિકાર કરવા માટે આવી હતી. ટોળકી દ્વારા નીલ ગાયનો શિકાર કરતી વખતે મિસ ફાયર થયું હતું. જેમાં ટોળકીના આસિફ ઝગારીયાવાલાને છાતીના ભાગે ગોળી વાગતા ઇજા થઈ હતી. આ ટોળકી આસિફને લઇને ભરુચ પહોંચી ગઈ હતી અને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે દરમિયાન આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ સાથે સ્થાનિક લોકો પાસેથી વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી