હત્યાના ગુનાહમાં જામીન પર વડોદરાની જેલમાંથી રફુચક્કર થયેલ આરોપીને પોલીસે આગ્રામાંથી ઝડપી પાડ્યો
સુરત: અને અમદાવાદમાં હત્યાના બે ગુનામાં આજીવન કેદની સજા બાદ વડોદરા જેલમાંથી જામીન રજા મેળવી 7 વર્ષથી ફરાર થયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાંચે આગ્રાથી ઝડપી લીધો છે. પોલીસ પકડથી દૂર રહેવા તેણે ગુજરાતના તમામ સંપર્કો કાપી નાખ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ શૈલેષ રાધેબિહારી અને મનોજ તુકારામ પાટીલને મળેલી બાતમીના આધારે પીએસઆઇ સી.આર.દેસાઈ અને ટીમે ઉત્તરપ્રદેશના આગ્રા ખાતેથી પવનકુમાર ગંગાસિંગ તોમર (ઉ.વ.41, રહે. 42/એ, સૂર્યલોક કોલોની, મવુ બાયપાસ રોડ, આગ્રા, ઉત્તરપ્રદેશ) ને ઝડપી લીધો હતો. અગાઉ તેના સાગરીતો મદન મોહન, સોનુ, અરવિંદ સાથે સુરતના સીમાડા ગામમાં રહેતો હતો. વર્ષ 2009 માં કામરેજ હાઇવેથી ટવેરા કાર વડોદરા જવા ભાડે કર્યા બાદ આણંદના વાસદ પાસે ચાલકની હત્યા કરી ટવેરા લૂંટી હતી. તે અગાઉ વર્ષ 2004 માં અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં પવનકુમારે પાડોશી તહેસીલદાર નામના છોકરાની ચપ્પુના 17 થી 18 ઘા મારી હત્યા કરી હતી.