તંત્ર દ્વારા સમાન જપ્ત થયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ પર ધંધો કરનારા 10 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
મંજૂરી વગર પ્રવાસીઓના વાહનોનું પાર્કિગ કરવામાં ન અને ફૂટપાથ પર કોઈ નાનો મોટો ધંધો કોઈ કરવા ન બેસે તેવી સુચના મળતા પોલીસ દ્વારા કાર્યવાહી: આદિવાસીઓમાં ભારે રોષની લાગણી
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લીમડી બાર ફળિયા ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાનો મોટો ધંધો કરીને સાથે સાથે પોતાની જમીન પર પાર્કિંગ બનાવી થોડી ઘણી આવક મેળવી રહ્યા છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓ દ્વારા એ પાર્કિંગ બંધ કરાવી દીધું હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ નજીક નાનો મોટો ધંધો કરનારાઓનો સર સામાન જપ્ત કરવામાં આવતા ગ્રામજનો રોડ પર બેસી ગયા હતા.
ધંધા રોજગરનો એ સામાન અડચણ રૂપ છે તેમ કહી તંત્ર દ્વારા સામાન જપ્ત કરાયો હતો.તો બીજી બાજુ આ ઘટના બાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ પર નાનો મોટો ધંધો કરનારા 10 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરવા બદલ ભાવનાબેન મેહુલ તડવી, સવિતાબેન પૂના તડવી, રમણ કરશન તડવી, નાનજી કાદવા તડવી, શર્મિસ્થાબેન રાજુ તડવી, લાલીબેન ગોવિંદ તડવી, સુરજાબેન સુમન તડવી, નીતાબેન ગુણવંતભાઈ તડવી, સંગીતાબેન રસિક તડવી, સંતોકબેન નાનજી તડવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગ્રામજનોની એ માંગ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એક ખાનગી આઈસ્ક્રીમ પાર્લર છે એને પણ હટાવવામાં આવે અને તંત્ર અમને ધંધો કરવા દે.બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મંજૂરી વગર પ્રવાસીઓના વાહનોનું પાર્કિગ કરવામાં ન અને ફૂટપાથ પર કોઈ નાનો મોટો ધંધો કોઈ કરવા ન બેસે તેવી સુચના મળતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સ્થાનિક ગ્રામજનો જો ધંધો કરવાની મંજૂરી માંગશે તો સત્તા મંડળ એમને મંજૂરી આપશે કે કેમ.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી નવા પ્રવાસન સ્થળનું લોકાર્પણ કરે છે ત્યારે તેઓ અહીંયા આદિવાસીઓને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની વાત કરે છે.ત્યારે તંત્ર દ્વારા સ્થાનિક આદિવાસીઓ સાથેનો આ વ્યવહાર યોગ્ય છે ખરો?