વાવ તાલુકાના ઢીમા પ્રતાપપુરામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં: હજારો લીટર પાણી વેડફાયું
વાવ:તાલુકાના ઢીમા પ્રતાપપુરામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં રાત્રિ દરમિયાન મોટું ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણીથી જળબંબાકાર બની ગયા હતા. હજારો લીટર પાણીનો વેડફાટ થતાં વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા તેમજ પ્રતાપપુરામાં નર્મદા કેનાલમાં ગઈ રાત્રે એક વાગ્યાની આસપાસ અચાનક કેનાલમાં ગાબડુ પડતાં આજુબાજુના ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા.
ઢીમા પ્રતાપપુરાની સીમમાં ગઈ તા.૧૩-૧૧-૧૯ની રાત્રે અચાનક નર્મદા કેનાલના ફોટીયામાં ગાબડું પડતાં ૧૦થી ૧૨ ફૂટ કેનાલ તુટી ગઈ હતી. જેથી ખેતરની અંદર પડેલા જુવાર અને મઠના ડુંગરા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. જેમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જોકે આ બાબતે ખેતર માલિક રાજપૂત દિનેશ ગણેશભાઈને જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે સવારમાં ૬ વાગ્યાના ટાઈમે નર્મદા વિભાગના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી. જોકે જાણ કરવાછતાં નર્મદા વિભાગના કર્મચારીઓ બપોરના ટાઈમે ચેક કરવા આવ્યા હતા ત્યારસુધી તો હજારો લીટર પાણીનો બગાડ થઈ ચુક્યો હતો અને આજુબાજુના ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા. જોકે આ કેનાલ ફાટવાનું મુખ્ય કારણ કેનાલમાં વધારે પડતું પાણી છોડવાના કારણે કેનાલ તુટી હોવાનું જાણવા મળ્યું હતું.