સવારે આંટો મારવાનુ કહીને ઘરેથી નીકળીને અમદાવાદ રિવર ફ્રન્ટ ઉપરથી કુદીને યુવકનો આપઘાતઃ ઘરકંકાસના કારણે જીવ દીધાની શંકા
અમદાવાદઃ અમદાવાદમાં રિવરફ્રન્ટ પરથી કૂદીને મોતને વહાલું કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી પર આશ્રમ રોડની પેરેલલ બનેલા રિવરફ્રન્ટ રોડના ચંદ્રભાગા તરફના એક્ઝિટ પાસેથી યુવકે નદીમાં કૂદીને મોતને વહાલું કર્યું છે. સવારમાં આંટો મારવાનું કહીને બહાર નીકળ્યા પછી તે શખસે પોતાની આસપાસ કોઈ છે કે નહીં તેની ખાતરી કરીને નદીમાં ઝંપલાવી દીધું. આ ઘટના સવારે 7-15થી 7-30ની વચ્ચે બની છે.
આ આત્મ હત્યાનું કારણ ઘર કંકાશ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શખસે નદીમાં ઝંપલાવ્યા બાદ સ્થાનિકો તેને બચાવવા માટે દોડી ગયા હતા જોકે, પળવારમાં તે શખસ પાણીમાં ડૂબી ગયો અને તેનું શરીર પણ દેખાવાનું બંધ થઈ ગયું. આ પછી ઘટના અંગે 108 અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી. આ દરમિયાન સ્થાનિકો દ્વારા યુવકને શોધવાની તપાસ કરવામાં આવી રહી હતી જોકે, તેનો કોઈ પત્તો લાગ્યો નથી. સ્થાનિક શખસે નદીમાં પડીને આત્મહત્યા કરી હોવાની જાણ થતાં બનાવના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.