સુરત:ત્રણ વર્ષ અગાઉ મંદિરમાં ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર પૂજારીને અદાલતે 14 વર્ષની કેદની સુનવણી કરી
સુરત:શહેરમાં ત્રણેક વર્ષ પહેલાં નવસારી બજાર સ્થિત શ્રી શેષનારાયણ મંદિરમાં ત્રણ સગીર બાળકોને ચોકલેટ-પતંગની લાલચ આપીને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી પોક્સો એક્ટના ભંગના ગુનામાં મંદિરના આરોપી મહારાજ આચાર્ય બીરમની પાંડેને તમામ ગુનામાં દોષી ઠેરવી એડીશ્નલ સેશન્સ જજ અમૃત્ત એચ.ધમાણીએ આરોપીને સૃષ્ટિ વિરુધ્ધના ગુનામાં 14 વર્ષની સખ્તકેદ,રૃ.5 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.જ્યારે ભોગ બનનાર દરેક બાળકોને રૃ.1 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.
નવસારી બજાર મેઈન રોડ ગોપી તળાવની સામે આવેલા શ્રી શેષનારાયણ મંદિરમાં તા.14-2-2018 ના રોજ ચાર પાંચ દિવસ અગાઉ મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની 45 વર્ષીય આચાર્ય બિરમની શ્રીવાલક પાંડે વિરુધ્ધ ભોગ બનનાર સગીર ત્રણ બાળકોના વાલીએ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી પોક્સો એક્ટના ભંગ બદલ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સરેરાશ 10 વર્ષની વયના ત્રણેય બાળકોને ચોકલેટ-પતંગની લાલચ આપી મહારાજે મંદિરમાં લઇ જઇ તેમની ચડ્ડી કઢાવીને ગુપ્તાંગ સાથે છેડછાડ કરી હતી.
ત્યારબાદ મહારાજે બાળકોને ખોળામાં બેસાડીને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો. અઠવા પોલીસે જેલભેગા કરેલા આરોપી મહારાજ આચાર્ય બિરમની પાંડે વિરુધ્ધ મે-2018 માં ચાર્જશીટ રજુ થયા બાદ કેસ કાર્યવાહી થઇ હતી. આજે અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ 20 જેટલા મૌખિક તથા 12 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેમાં મુખ્યત્વે ફરિયાદી,ભોગ બનનાર બાળકો, તબીબી તથા એફએસએલના પુરાવા તથા ઘટના સ્થળના પંચ સાક્ષીઓના નિવેદનો હતા. અલબત્ત ભોગ બનનાર બાળકોની જુબાનીની વિસંગતતા અંગે કોર્ટે બચાવપક્ષની દલીલોને નકારી કાઢીને જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ 164 ના નિવેદનમાં પણ બાળકોએ ફરિયાદપક્ષની હકીકતને સમર્થન આપ્યું છે. કોર્ટે આરોપી આચાર્ય બીરમની પાંડેને 377તથા પોક્સો એક્ટની અલગ અલગ કલમ હેઠળ દોષી ઠેરવી 14 વર્ષની સખ્તકેદ તથા અલગ અલગ દંડની સજા કરી હતી.