ગુજરાત
News of Monday, 15th October 2018

હવે નવી અેચઆર પોલીસી અમલમાં આવતા દરેક પોલીસ કર્મચારીઓઅે મલ્‍ટીટાસ્‍કીંગ કરવું પડશેઃ ડીઆઇજી વિપુલ અગ્રવાલ

અમદાવાદ: શહેરના પોલીસકર્મીઓને કમ્ફર્ટ ઝોનની બહાર લાવવા માટે નવી HR પોલીસી અમલમાં આવશે. સીનિયર પોલીસ અધિકારીઓનો દાવો છે કે જે પોલીસકર્મીની રાઈટર તરીકે ભરતી થઈ હોય તે સમગ્ર સર્વિસ દરમિયાન ફક્ત તે જ કામ કરે છે. એડમિનિસ્ટ્રેશન DIG વિપુલ અગ્રવાલે કહ્યું કે, “હવે નવી HR પોલીસી અમલમાં આવતાં શહેરના દરેક પોલીસકર્મીએ મલ્ટીટાસ્કિંગ કરવું પડશે, પછી તેમનું પોસ્ટિંગ પોલીસ સ્ટેશનમાં કે ઈન્વેસ્ટિગેશન એજન્સીમાં જ કેમ ના થયું હોય.”

દરેક કામ શીખવવામાં આવશે

એડમિનિસ્ટ્રેશન DIGએ જણાવ્યું કે, “દાખલા તરીકે કોઈ પોલીસકર્મીની ભરતી સર્વેલન્સ સ્ક્વોડમાં થઈ હોય તો તેને રાઈટરનું કામ પણ શીખવશે અથવા તો રાઈટરને ઈન્વેસ્ટિગેશન ટીમમાં પણ મૂકવામાં આવી શકે. HR પોલીસી શહેરના 13,000 પોલીસકર્મીઓને તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવાનું કામ કરશે.” શહેરના પોલીસદળના મોટાભાગના કર્મીઓને તેમની ઈચ્છા પ્રમાણેનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

ટ્રાન્સફર અંગે પણ વિચારણા થશે

DIG અગ્રવાલે કહ્યું કે, “અમે પોલીસદળને દરેક પ્રકારના પોલીસકાર્યો માટે તૈયાર કરી રહ્યા છીએ. જેમકે, કેસ પેપર બનાવવા, ઈન્વેસ્ટિગેશન કરવું, અકાઉન્ટ રાખવા કે FIR નોંધવી જેવા તમામ કામ દરેક પોલીસકર્મીને શીખવામાં આવશે. પોલીસના ટ્રાન્સફર ઈશ્યૂ પર પણ કામ કરી રહ્યા છીએ. કેટલાય એવા પોલીસકર્મીઓ છે જે ઘણા વર્ષોથી એક જ ઝોન કે ડિવિઝનમાં કામ કરતા હોય. પોલીસકર્મીઓ શહેરના ભૂગોળથી વાકેફ હોવા જોઈએ અને તેમના બાતમીદારોનું નેટવર્ક પણ તે રીતે વિકસવું જોઈએ.”

પોલીસકર્મીઓની સમસ્યા વિશે વિચાર થશે

જો કે આ વિચારોમાં તો મતભેદો હોઈ શકે છે. એક કોન્સ્ટેબલે કહ્યું કે, “પોલીસકર્મીને ટ્રાન્સપોર્ટ માટે 20 રૂપિયા આપવામાં આવે છે. નરોડા રહેતા હોય તે પોલીસકર્મીને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોકરી માટે આવવું કેવી રીતે પોસાય. સીનિયર પોલીસકર્મીઓએ આ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ.” આ વિશે DIG અગ્રવાલને પૂછતાં તેમણે કહ્યું કે, “મોટાભાગના પોલીસકર્મીઓ પાસે બાઈક છે અને સરકાર તેમને પૂરતો પગાર ચૂકવે છે. કેટલીક સમસ્યાઓ છે અને ટ્રાન્સફર વિશે અમે માનવતાના ધોરણે જ વિચાર કરીને નિર્ણય કરીશું.”

આવા કિસ્સા પણ આવ્યા છે સામે

DIG અગ્રવાલે કહ્યું કે, “એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં પોલીસકર્મીનું પોસ્ટિંગ ઘરની નજીક થયું હોવાથી તેઓ બપોરે ડ્યુટી પરથી ગાયબ થઈ જાય અને વામકુક્ષી કર્યા પછી સાંજે પરત આવે. આમ થવું યોગ્ય નથી. અમે પોલીસકર્મીઓ છે અને 24 કલાક ડ્યૂટી પર હાજર રહેવું અમારી ફરજ છે. અમે નિર્દેશો આપ્યા છે કે પોલીસકર્મીઓની લેખિતમાં મળેલી સમસ્યાઓનો જવાબ 7 દિવસમાં આપી દેવો. અમારા ત્યાં સમસ્યા નિવારણ સેલ પણ છે.”

(6:18 pm IST)