ગુજરાત
News of Wednesday, 15th September 2021

સસ્પેન્સ પે સસ્પેન્સ : નીતિનભાઈ 'બાપુ'ને મળ્યાનો ધડાકો!

મોવડી મંડળ દ્વારા વિજયભાઈ અને નીતિનભાઈને મનાવવા મોડી રાત્રે લાં...બી... બેઠક પણ મળ્યાની ભારે ચર્ચા : પૂર્વ ઉપમુખ્યમંત્રીને વિધાનસભાના અધ્યક્ષ બનાવી મનાવી લેવાશે?: અન્ય મંત્રીઓના પણ રિસામણા - મનામણાનો દોર ચાલુ : તમામ ટીવી ચેનલોમાં સમાચારોનો ધમધમાટ

અમદાવાદ : નવા મુખ્યમંત્રીએ પદભાર ગ્રહણ કર્યા બાદ ટોચના નેતાઓની નારાજગી ઉપરની સપાટીએ આવી ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નારાજ નેતાઓમાં છે. તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હોવાનું જાણવા મળે છે તો બીજી તરફ નારાજ થયેલા નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

તમામ વેબસાઈટો અને ટીવી ચેનલોમાંથી મળતી વિગતો મુજબ નીતિનભાઈ પટેલ ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોઈ અજ્ઞાત સ્થળે મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાજપના જ કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઈબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. ભાજપના સુત્રોએ આ માહિતીને સમર્થન આપ્યું હતું. નીતિન પટેલ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યાં છે. તેથી તેમની આ મુલાકાતને કારણે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

બંને રાષ્ટ્રીય સંગઠનના નેતા મુખ્યમંત્રી બંગલે ગયા હતા, જ્યાં પ્રથમ તેમણે રૂપાણી સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી. એ દરમિયાન નીતિન પટેલ, ચૂડાસમાને પણ અહીં બોલાવાયા હતા અને બીજા દોઢથી બે કલાક સુધી સંતોષ અને યાદવે તેમને કેન્દ્રીય નેતાગીરીનો સંદેશ પાઠવીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જોકે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે શ્રી રૂપાણી, શ્રી પટેલ અને શ્રી ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યકત કર્યો હતો.

નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં મંત્રી તરીકે સામેલ થવા માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તથા તેમને સરકારમાં નંબર-૨નું સ્થાન અપાશે તેવી હવા ઊડી છે. પરંતુ ભાજપના જ વરિષ્ઠ નેતાઓને આ વાત ગળે ઉતરતી નથી. ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ ૨૦૧૭માં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા પરંતુ તેમને ખૂબ મહત્ત્વનું ગણાતું એવું નાણાં ખાતું ન અપાતાં નીતિન પટેલ ૩ દિવસ નારાજ રહ્યા હતા.  આખરે તેમની વાત માનવી પડી અને તેમને નાણાં ખાતું આપીને મનાવી લેવાયા હતા. હવે આ સંજોગોમાં નીતિન પટેલ માત્ર મંત્રીપદ સ્વીકારી લે તેવું સમજી શકાય તેમ નથી. આ તરફ નીતિનભાઈ પટેલને વિધાનસભામાં અધ્યક્ષ બનાવાય તેવી ચર્ચા એ પણ જોર પકડ્યુ છે.

(3:32 pm IST)