લક્ષ્મીપુરાથી અંબાજી જવા નીકળેલા યુવકની દહેગામ પાસે ઉંધા માથે પડી રહેલી લાશ મળી
દહેગામ : દહેગામ શહેરમાં આવેલ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ નજીક આવેલ ખેતર પાસેના ખાડામાંથી આજે એક યુવકની ઉંધા માથે પડી રહેલી લાશ મળી આવી હતી. પોલીસને બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચી મૃતકની ઓળખ કરતાં આ યુવક નગરપાલિકા વિસ્તારમાં આવતા લક્ષ્મીપુરાનો રહેવાસી હોવાનું અને તે ગત રોજ સવારે ઘરેથી અંબાજી જવાનું કહીને નિકળ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક ખેતરવાળા માર્ગે ચાલતો જતો હતો તે સમયે કોઈ કારણોસર લપસી જતાં તે નીચે પટકાયો હતો આ સમયે નીચે રહેલ પથ્થર તેના મોઢાના ભાગે વાગતાં તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ આજે શહેરમાં આવેલ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ નજીકના ખેતર પાસે રોડ સાઈડના ખાડામાં એક યુવકની ઉંધા માથે પટકાયેલી હાલતમાં લાશ પડી હતી. આ બનાવની જાણ કોઈ રાહદારી દ્વારા દહેગામ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં મૃતકના ખિસ્સામાંથી એક આઈ કાર્ડ મળી આવતાં તેના પરથી તેની ઓખળ થઈ હતી. આ યુવકનું નામ કાળુસિંહ બદસિંહ ચૌહાણ (ઉ.વ.ર૭) રહે.લક્ષ્મીપુરાનો રહિશ હોવાનું સામે આવ્યું હતું. મૃતકના પરિવારની પુછપરછમાં સામે આવ્યું હતું કે તે ગઈકાલે સવારે ઘરેથી અંબાજી જવાનું કહીને નિકળ્યો હતો અને તેેને કોઈની સાથે કોઈ અણબનાવ બન્યો ન હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતક ખેતરવાળા રસ્તે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન લપસી જતાં ખાડામાં પડયો હતો અને તે સ્થળે નીચે રહેલ પથ્થર વાગતાં તેના નાકે તેમજ મોઢાના ભાગે ઈજાઓ પહોંચતાં તેનું મોત થયું હોવાનું અનુમાન છે. હાલ પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે