આણંદના ગાંધીપુરામાં ગોઝારા અકસ્માતમાં રીક્ષા ચાલક યુવાનનું મોત
આણંદ:તાલુકાના ગાંધીપુરામાં રહેતાં અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ૪૮ વર્ષીય પ્રતાપસંગ ફતેસિંહ પઢીયાર ગત રોજ બપોરના સમયે પોતાની સીએનજી રીક્ષા નં જીજે ૦૭ વીડબલ્યું ૬૩૪ લઈ ખેડા - અમદાવાદ માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન વડાલા પાટીયા નજીક માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ એક સ્વિફ્ટ ગાડી નં જીજે ૨૩ એચ ૨૪૬૯ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ગાડી પ્રતાપસંગ પઢીયાર ની રીક્ષા સાથે ટકરાઈ હતી. સર્જાયેલા આ અકસ્માતમાં રીક્ષાના ચાલક પ્રતાપસંગ પઢિયાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે રમેશભાઈ ફતેસિંહ પઢિયારની ફરીયાદને આધારે ખેડા ટાઉન પોલીસે સ્વિફ્ટ ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.