અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલ સેલ્સ ઇન્ડીયાની બ્રાન્ચમાંથી રૂૂ.૧પ લાખના ૧૧૧ મોબાઇલની ચોરી
અમદાવાદ: શહેરના આશ્રમ રોડ પર આવેલી સેલ્સ ઈન્ડિયામાંથી 15 લાખની કિંમતના 111 મોબાઈલ ફોનની ચોરી થતાં ચકચાર મચી છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, અને તેના આધારે નવરંગપુરા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.
સેલ્સ ઈન્ડિયામાં મેનેજર તરીકે ફરજ બજાવતા મુન્તિયાઝ સૈયદની ફરિયાદ અનુસાર, શોરૂમના સેલફોન સેક્શનમાં રખાયેલા 111 ફોન ચોરાયા છે. શુક્રવારે આ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. ચોરી કરનારા શોરૂમનો મુખ્ય દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા.
પોલીસ તપાસ અનુસાર, 15 લાખ રૂપિયાની કિંમતના કુલ 111 મોબાઈલ ફોન ગુમ થયા છે. પોલીસે શોરૂમના સીસીટીવી ફુટેજ પણ મેળવ્યા છે, પરંતુ ચોરી કરનારાએ ચહેરા ઢાંકેલા હોવાથી પોલીસને તેમાં કંઈ નથી મળ્યું. જોકે, આ જ રીતે શિવરંજની અને પ્રેરણાતિર્થ દેરાસર વિસ્તારમાં પણ મોબાઈલના શોરૂમમાં ચોરી થઈ છે.
પોલીસને શંકા છે કે, આ ત્રણેય ચોરીઓમાં એક જ ગેંગનો હાથ છે. પોલીસ માની રહી છે કે, શહેરમાં એક્ટિવ થયેલી ચાદર ગેંગે જ આ ચોરી કરી છે. પોલીસે શોરૂમમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ્સની પણ પૂછપરછ કરી છે. જોકે, ચોરી થઈ ત્યારે ચોકીદારો પાછળના ગેટ પાસે હતા, જ્યારે ચોર આગળના ગેટને તોડીને અંદર ઘૂસ્યા હતા.